ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
SHARE
ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
મોરબીમાં મચ્છુ નદી ઉપર આવેલા પાડાપુલના બેરીંગ બદલવાની, જોઈન્ટ બદલવાની અને માસ્ટિક આસફાલ્ટની મહત્વપૂર્ણ કામગીરી કરવાની છે જેથી કરીને સમારકામ દરમિયાન લોકોની સુરક્ષા અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પુલ પર તા. 12 ના રાત્રિના 11 વાગ્યાથી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અને સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવર જવર બંધ રાખવામાં આવશે.
હાલમાં મોરબીનો મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતો પુલ રિપેરિંગ માટે બંધ કરવામાં આવેલ છે તેથી એસ.ટી. બસની સુવિધા માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરેલ છે તેમાં મોરબી કે રાજકોટથી કચ્છ કે અમદાવાદ તરફ જતી એસ.ટી. બસો હવે નવા બસ સ્ટેન્ડથી ભકિતનગર ઓવરબ્રીજ નીચેથી પસાર થઈ દલવાડી ચોકડી, પંચાસર ચોકડી, વાવડી ચોકડી અને નેકસેસ સિનેમાથી મચ્છુ નદી ક્રોસ કરી રવિરાજ ચોકડી થઈને જઈ શકશે. તેવી જ રીતે, કચ્છ તરફથી આવતી બસોએ માળીયા ફાટક અને અમદાવાદ તરફથી આવતી બસોએ મહેન્દ્રનગર ચોકડી એમ બંને રૂટની બસોએ રવિરાજ ચોકડી પહોંચી, મચ્છુ નદી ક્રોસ કરી નેકસેસ સિનેમાથી વાવડી ચોકડી અને પંચાસર ચોકડી થઈ નવા બસ સ્ટેન્ડ તરફ જવાનું રહેશે.
ઉલેખનીય છે કે, એસ.ટી. બસ સિવાયના અન્ય વાહનો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંતર્ગત મોરબી શહેરથી સામાકાંઠા વિસ્તાર તરફ જવા માંગતા વાહનો શક્તિ ચોકથી મયુર પુલ ઉપર થઈ લાલબાગ તરફ જઈ શકશે. જ્યારે સામાકાંઠા વિસ્તારથી મોરબી શહેર તરફ આવવા માટે વાહનચાલકોએ લાલબાગ તરફથી બેઠા પુલ પર થઈ શક્તિ ચોક તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે, જોકે પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે.









