મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે
SHARE
મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે
મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલ ઘુંટુ ગામેથી ગત ફેબ્રુઆરી માસમાં સગીરાનુ અપહરણ થયેલ હતુ. જે અંગે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે અપહરણ-પોકસો મુજબ ગુનો નોંધાયો હતો.
જે બનાવમાં સંડોવાયેલ ઈસમ શુભમ કૈલાસભાઈ આહિરવાલ (20) રહે. રાજગઢ, જી. મધ્યપ્રદેશ ભોગ બનેલ સગીરાની સાથે વાંકાનેર નજીકના ઢુવા ખાતેથી મળી આવ્યો હતો. જેથી શુભમ આહિરવાલની ધરપકડ કરીને પીઆઈ ઘેટીયાએ કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા તેને જેલહવાલે કરવા હુકમ કરાતા શુભમને જેલહવાલે કરાયો હતો.
પાસા તળે જેલહવાલે
મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં સંડોવાવેલા તેજસ મનુભાઈ વહેરા (ભરવાડ) નામના 33 વર્ષીય ઈસમ વિરૂધ્ધ તાલુકા પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મૂકી હતી. જે મંજુર કરાતા તેજસ ભરવાડને પકડીને ભાવનગર જેલહવાલે કરાયો હતો.
યુવાન સારવારમાં
મોરબીના જેતપર રોડ પીપળી ગામ પાસેના લાસાલાશી સિરામીક પાસે રહી મજુરીકામ કરતા કલ્પેશ ઉજેસિંગ બારીયા નામના 35 વર્ષના યુવાનને સાપ કરડી જતા સારવાર માટે લાવવામા આવ્યો હતો.તેમજ શનાળા હાઈવે ખાતે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા સન્ની ભગુભાઈ ડાભી (32) રહે. લાયન્સગરને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ નાગડાવાસ ગામે ધીરૂભાઈની વાડીએ થયેલ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલ સરદારભાઈ આરસિંગ મોરી (55) નામના આધેડને ઈજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઈજા
ઘુંટુ રોડ હરીઓમ સોસાયટી ખાતે રહેતા રાજુ રમેશભાઈ (35) નામના યુવાનને સોસાયટીના ગ્રાઉન્ડમાં રાત્રીના દશેક વાગ્યે મારામારીની ઘટનામાં ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો. જયારે મુળી તાલુકાના આંબરડી ગામના કાળુભાઈ ગાંડુભાઈ સાદરીયા (45) બાઈક લઈને જતા હતા ત્યારે ગામ નજીક કેનાલના રસ્તે પડી જતા ઈજા પામેલ હોય સારવારમાં મોરબી લવાયા હતા.
વાહન અકસ્માત
માળીયા (મીં)ના જસવંત રામજીભાઈ ખોડકર (50) અને તનવીર બાબુભાઈ (34)ને માળીયા નજીક વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા. તેમજ વાંકાનેરના રાતડીયા ગામના ધુનાબેન છનાભાઈ મેર ઘરે ઝેરી દવા પી ગયા હોય સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.માળીયા (મીં)ના હરીપર ગામની ગોળાઈ (જયાં અનેક વખત અકસ્માતો થાય છે ત્યાં) પાસે વધુ એક અકસ્માત બનાવ બન્યો હતો. જેમા જાવેદ બચુભાઈ પલેજા (28) રહે. માળીયા (મીં)ને ઈજાઓ થતા માળીયા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો









