વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે
વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી
SHARE
વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહીઃ નોટીસો દુકાનદારો સુધી પહોંચી ન હોવાનો આક્ષેપ : બિલ્ડર સામે કાયદાકીય કાર્યવાહી કરવા તૈયારી : લાખોના રોકાણ જોખમમાં
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ખાતે આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટીના જરૂરી સાધનો અને નિયમોનું પાલન થવાના આક્ષેપોને આધારે રાજકોટ, મોરબી અને હળવદ ફાયર સેફટી વિભાગની સંયુકત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન કોમ્પ્લેકસની અંદાજે 240થી વધુ દુકાનોને સીલ મારવામાં આવેલ છે. જેના કારણે વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે.
તંત્રના જણાવ્યા મુજબ અગાઉ ફાયર સેફટી નિયમોના પાલન માટે નોટીસો પાઠવવામાં આવી હતી. જોકે સ્થળ પર હાજર દુકાનદારોએ દાવો કર્યો હતો કે તેમને વ્યકિતગત રીતે કોઈ નોટીસ મળી નહોતી. તેમનું કહેવું છે કે નોટીસ બિલ્ડર અથવા કોમ્પ્લેકસ ડેવલપરને આપવામાં આવી હતી, જેના કારણે વર્ષો પહેલા દુકાનો ખરીદનારા વેપારીઓ આ સમગ્ર પ્રક્રિયાથી અજાણ રહ્યા છે.દુકાનદારોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાની મૂડી રોકીને દુકાનો ખરીદ્યા બાદ પણ આજે તેમની રોજીરોટી પર સંકટ ઉભુ થયુ છે. અનેક વેપારીઓનું માનવું છે કે જો ફાયર એનઓસી અથવા અન્ય કાનૂની પ્રક્રિયા અધૂરી હતી તો તેની જવાબદારી બિલ્ડર અને ડેવલપરની પણ બને છે. આ મુદ્દે તમામ દુકાનદારો એકજૂથ થઈ બિલ્ડર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.
શું છે નિયમ ?
ફાયર સેફટી સંબંધિત નિયમો મુજબ જાહેર ઉપયોગના કોમર્શીયલ બિલ્ડીંગમાં ફાયર પ્રોટેકશન સિસ્ટમ, ઈમરજન્સી એકઝીટ, ફાયર એકકિસ્ટંગ્વિશર, હાઈડ્રન્ટ સહિત જરૂરી સુવિધાઓ ફરજીયાત છે.નિયમોનું પાલન ન થવા પર સંબંધીત સતાધિકારીઓને નોટીસ, સીલીંગ અથવા અન્ય કાર્યવાહી કરવાની સત્તા હોય છે.જો દુકાનદારોને યોગ્ય રીતે નોટીસ ન મળી હોય અથવા બિલ્ડર દ્વારા જરૂરી મંજૂરીઓ અંગે ભ્રમ ફેલાવવામાં આવ્યો હોય તો તે મુદ્દો નાગરિક અને ફોજદારી વિવાદનું સ્વરૂપ ધારણ કરી શકે છે.જોકે, આ અંગે અંતિમ નિર્ણય તપાસ અને કોર્ટના આદેશોને આધીન રહેશે. હાલ સમગ્ર મામલે વેપારીઓ, બિલ્ડર અને તંત્ર વચ્ચે જવાબદારીનો પ્રશ્ન ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વેપારીઓની માંગ છે કે તેમની રોજીરોટી જળવાઈ રહે તે માટે તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.