હળવદમાં શાળાની વિદ્યાર્થિનીઓએ પાળિયાઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી
વાંકાનેરમાં સ્માર્ટ પુસ્તકાલય બનાવવા માટે મામલતદારને કરાઇ રજૂઆત
SHARE
વાંકાનેરમાં સ્માર્ટ પુસ્તકાલય બનાવવા માટે મામલતદારને કરાઇ રજૂઆત
આઝાદીના ૭૯ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં વાંકાનેર તાલુકામાં આજની તારીખે પણ સંપૂર્ણ સુવિધાયુક્ત પુસ્તકાલય નથી જેથી કરીને વાંકાનેરના જાગૃત નાગરિક જયેન્દ્રસિંહ મધુભા ઝાલાએ વાંકાનેરની વિવિધ શાળા-કોલેજોના આચાર્યઓ તથા વિદ્યાર્થીઓની સહી સાથે મામલતદારને લેખિતમાં રજૂઆત કરીને સ્માર્ટ પુસ્તકાલય બનાવવા માટેની માંગ કરી છે
હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે, "લાઈબ્રેરી એટલે માત્ર એક ઓરડો નહીં. વાંકાનેરમાં હાલ જે નાનકડી સરકારી લાઈબ્રેરી ચાલે છે, તે આજના સમયની જરૂરિયાત મુજબ પૂરતી નથી." તેમણે મામલતદાર સમક્ષ ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ ૩૭ હેઠળ યોગ્ય સરકારી જમીન ફાળવી, 'ધ ગુજરાત પબ્લિક લાઈબ્રેરીઝ એક્ટ, ૨૦૦૧' મુજબના 'Class A' કક્ષાના પુસ્તકાલયના નિર્માણની માંગણી કરી છે, જેમાં ૧૫,૦૦૦થી વધુ પુસ્તકોનો સંગ્રહ, કમ્પ્યુટર લેબ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, ડિજિટલ લાઈબ્રેરી, અલગ બાળ-વિભાગ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનો અલાયદો વિભાગ સામેલ હોય છે
અરજદારે સ્પષ્ટતા કરી કે આ પ્રોજેક્ટ માટે નાણાકીય ભંડોળ પણ ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારના રાજા રામમોહન રોય લાઈબ્રેરી ફાઉન્ડેશન (RRRLF) દ્વારા ૬૦:૪૦ ના ધોરણે મેચિંગ ગ્રાન્ટ મળે છે, જ્યારે ગુજરાત સરકારે "વાંચે ગુજરાત" અભિયાન અંતર્ગત ૨૦૨૩-૨૪થી પુસ્તકાલયો માટે ૧૦૦% અનુદાનની જોગવાઈ કરી છે. રાજ્યમાં હાલ ૧૯૭ સરકારી પુસ્તકાલયો કાર્યરત છે અને ૭૧ નવાં મંજૂર થયાં છે. "એટલે માત્ર જમીન ફાળવણી અને મામલતદારશ્રીની ભલામણ — આ પ્રોજેક્ટને ગતિ આપવા માટે પૂરતાં છે," તેમ અરજદારે જણાવ્યું.
અરજદારે પ્રધાનમંત્રીએ ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી કરેલી જાહેરાત યુટ્યુબ મારફતે વિદ્યાર્થીઓને મફત કોચિંગ ઉપલબ્ધ કરાવવાની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. "એ કોચિંગ જોવા, સાંભળવા અને એકાગ્રતાથી ભણવા માટે એક શાંત, સુવિધાયુક્ત જગ્યા જોઈએ. વાંકાનેરનું નવું પુસ્તકાલય એ યોજનાનું ગ્રાઉન્ડ સેન્ટર બની શકે છે," તેમ તેમણે ઉમેર્યું. તેમણે આ સમગ્ર માંગણીને કેન્દ્ર સરકારના "વિકસિત ભારત @ ૨૦૪૭" ના સ્વપ્ન સાથે જોડતાં કહ્યું કે, "જ્ઞાની બનવા માટે માણસને જ્ઞાનની જગ્યા જોઈએ, અને એ જગ્યા પુસ્તકાલય છે."
આ અરજી સાથે વાંકાનેરની શાળા-કોલેજોના આચાર્યશ્રીઓ અને સેંકડો વિદ્યાર્થીઓએ સહી કરીને એક અલગ સમર્થનપત્ર જોડ્યું છે, જે દર્શાવે છે કે આ માંગણી કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર વાંકાનેરના યુવાધનની છે. અરજદારે જણાવ્યું કે અત્યાર સુધી આ મુદ્દે કોઈએ ઔપચારિક રજૂઆત કરી ન હતી, અને આ પહેલ રાજકીય નહીં પરંતુ સંપૂર્ણપણે નાગરિક અને શૈક્ષણિક હિતની છે.