સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો
SHARE
હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો
રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાનમ્, હળવદ તથા સરસ્વતી શિશુમંદિરના સંયુક્ત ઉપક્રમે હળવદ ખાતે ‘બ્રહ્મરત્ન સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. અને શિક્ષણ, સેવા, સંસ્કાર અને સમાજ ગૌરવના સંદેશ સાથે યોજાયેલ આ સમારોહમાં હળવદ તથા આસપાસના વિસ્તારના અનેક મહાનુભાવો, સંતો, જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, શિક્ષણજગતના અગ્રણીઓ તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે હળવદ તાલુકાના માથક ગામના વતની અને પોતાના જીવનમાં અનેક સંઘર્ષોનો સામનો કરી ઉદ્યોગક્ષેત્રે આગવી સફળતા પ્રાપ્ત કરનાર નરેન્દ્ર રાવલને પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની પ્રેરણાથી ‘હળવદ બ્રહ્મરત્ન’ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર રાવલનું જીવન સંઘર્ષ, સાહસ, મહેનત, દૃઢ સંકલ્પ અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે. સામાન્ય પરિવારમાંથી આગળ વધીને તેમણે પોતાની કાર્યક્ષમતા અને મહેનતના બળે ઉદ્યોગક્ષેત્રે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પોતાના વતન હળવદનું નામ ગુજરાત તેમજ દેશના ઉદ્યોગક્ષેત્રે ગૌરવ સાથે ઉજાગર કરવા બદલ તેમનું સન્માન સમગ્ર હળવદ માટે ગૌરવની ક્ષણ બની રહ્યું હતું.
આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સફળતા માત્ર સંપત્તિ કે પ્રતિષ્ઠાથી નહીં પરંતુ સમાજ, રાષ્ટ્ર અને માનવજાત પ્રત્યેના યોગદાનથી સાચા અર્થમાં સાર્થક બને છે. નરેન્દ્ર રાવલના જીવનપ્રવાસમાં શિક્ષણ, સંસ્કાર, સંઘર્ષ અને સેવાના મૂલ્યોનું સુંદર સંયોજન જોવા મળે છે, જે આજની યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષણ અને સંસ્કારના મહત્વ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ‘વિદ્યા એ જ પ્રકાશ છે, સેવા એ જ ઉપાસના છે અને સંસ્કાર એ જ આપણા જીવનની શોભા છે’ જેવા વિચાર સાથે સમાજમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાભાવના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના આમંત્રિત મહાનુભાવો દ્વારા નરેન્દ્ર રાવલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમના જીવનકાર્યને બિરદાવવામાં આવ્યું હતું. સમારોહમાં ઉપસ્થિત સંતો તથા મહાનુભાવોના આશીર્વચનથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા, ગૌરવ અને પ્રેરણાથી ભરાઈ ગયું હતું. આ સન્માન સમારોહમાં હળવદ તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારનાર વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં વધારો થયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજજનો અને શિક્ષણપ્રેમીઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. અને સમારોહના અંતે આયોજક રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાનમ્, હળવદ તથા સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ સંતો, મહાનુભાવો, જનપ્રતિનિધિઓ, સમાજના અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો તથા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.