મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા
SHARE
મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા
મોરબીનો સિરામિક ઉદ્યોગ વિકટ પરિસ્થિતિમાં આવી ગયો છે અને દિવસેને દિવસે સિરામિકના કારખાના બંધ થઈ રહ્યા છે તેવામાં છેલ્લા દિવસોથી પ્રોપેન ગેસની આવક બંધ થવા લાગી છે જેથી મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત કારખાના ધીમેધીમે બંધ થવા લાગ્યા છે અને છેલ્લા ત્રણ દિવસમાં વધુ 70 કારખાના બંધ થઈ ગયા છે જો કે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલ યુધ્ધ પછી અત્યાર સુધીમાં ગેસની અછતના લીધે કુલ મળીને 170 જેટલા કારખાના બંધ થઈ ગયા છે તે હવે ક્યારે શરૂ થશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેની મોરબીમાં આવેલ સિરામિક ઉદ્યોગમાં પણ અસર જોવા મળી રહી છે અહીના સીરામીક કારખાનાઓની અંદર સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જોકે, નેચરલ ગેસની સપ્લાય ગુજરાત ગેસ કંપની દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ પ્રોપેન ગેસની સપ્લાય જુદી જુદી કંપનીઓ અને એજન્ટો દ્વારા કરવામાં આવે છે તેની ચેન ખોરવાઈ ગયેલ છે જેથી કરીને પ્રોપેન ગેસની સપ્લાય બંધ થતાં ધીમેધીમે મોરબીના પ્રોપેન ગેસ ન હોવાથી સીરામીક કારખાનાઓ બંધ થવા લાગ્યા છે.
મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ ચાર દિવસ પહેલા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે, સીરામીક ઉદ્યોગકારો હાલમાં વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને પ્રોપેન ગેસ ન મળતો હોવાથી કારખાના બંધ થવા લાગ્યા છે અને જેતે સમયે જ પ્રોપેન ગેસની સપ્લાય બંધ થવાથી માત્ર બે દિવસમાં 100 જેટલા સિરામિક કારખાનાઓ બંધ થઈ ગયા હતા ત્યાર બાદ જુદીજુદી કંપનીઓ દ્વારા પ્રેપેન ગેસના ટેન્કરની સપ્લાઈ કરવામાં આવી હતી જેથી કરીને અમુક કારખાના ચાલી રહ્યા હતા.
જો કે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ દિવસમાં પ્રોપેન ગેસ ન મળવાના લીધે વધુ 70 જેટલા સિરામિક કારખાનાઓ બંધ થઈ ગયા છે આમ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલ યુદ્ધ પછી મોરબીમાં અત્યાર સુધીમાં કુલ મળીને 170 જેટલા કારખાના પ્રોપેન ગેસ ન મળવાના લીધે બંધ થઈ ગયા છે. અને આ આંકડો આગામી દિવસોમાં વધીને 450 સુધી પહોચે તેવી શક્યતા છે.









