મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો
SHARE
મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો
મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ અને નાગરિકોને પીવાના પાણીનો સુચારુ પુરવઠો મળી રહે તેમજ ચોમાસા દરમિયાન પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા SSNL ની વિવિધ શાખા નહેરની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
મોરબીના કલેક્ટરે SSNL ની માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી શાખા નહેર વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. માળિયા શાખા નહેરની મુલાકાત લેતા ફતેપર પાસે ઉપરવાસમાંથી ખેતરોમાં ભરાતાં પાણીના ઝડપી નિકાલ અર્થે પાઈપ સ્ટ્રક્ચર મૂકવા તેમજ ખીરઈ GWIL ને પાણી પૂરું પાડતા હેડ રેગ્યુલેટરનું ત્વરિત રિપેરિંગ કરવા સુચના આપી હતી. ધ્રાંગધ્રા શાખા નહેરની મુલાકાત લઈ ધ્રાંગધ્રા શાખા નહેરની સાંકળ ૧૨૪.૯૮૩ પર પાઈપ/બોક્સ કલવર્ટ સત્વરે બનાવવાની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સિંચાઈ વિભાગ (પંચાયત) સાથે સંકલન સાધી જુના સાદુડકા અને રવાપર (નદી) વચ્ચે નહેરની ટેઇલ પર આવેલ વોંકળાની સફાઈ કરાવવા તથા નહેર વિસ્તારમાં થયેલાં ગેરકાયદેસર દબાણો હટાવવા તેમજ ખાનગી તળાવો બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મોરબી શાખા નહેરની મુલાકાત દરમિયાન થોડા સમય પહેલા નહેરમાં પડેલા ગાબડાના સ્થળે ચાલી રહેલી સમારકામની કામગીરીનું કલેક્ટરએ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી ગુણવત્તાસભર તથા સમયસર પૂર્ણ થાય તે અર્થે જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.