વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર
SHARE
વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર
મોરબીના મહેન્દ્રનગર સ્થિત ભક્તિનગર સોસાયટીમાં રહેતા પરમાર ચંપાબેન ધીરુભાઈ પોતાના પરિવારના ગુજરાન માટે સૌંદર્ય પ્રસાધનો (કોસ્મેટિક્સ) નો નાનો છૂટક વેપાર કરતા હતા. પોતાના વ્યવસાયને વિસ્તારી વધુ કમાણી કરવાની ઈચ્છા હોવા છતાં જરૂરી કાર્યકારી મૂડીના અભાવે તેઓ નવો માલસમાન ખરીદી શકતા નહોતા અને મર્યાદિત આવકમાં ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની જતું હતું. આ આર્થિક મુશ્કેલીના સમયે રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજના તેમના જીવનમાં આશાનું નવું કિરણ લઈને આવી.
મર્યાદિત આવકની સ્થિતિમાંથી બહાર આવવા ચંપાબેનને ઓનલાઈન માધ્યમથી રાજ્ય સરકારની 'શ્રી વાજપાઈ બેંકેબલ યોજના' વિશે જાણવા મળ્યું હતું. તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબીનો સંપર્ક સાધી સંપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું અને લોન માટે અરજી કરી હતી. કચેરી દ્વારા સુચારુ પ્રક્રિયા હાથ ધરી તેમની અરજી બેંકમાં ભલામણ અર્થે મોકલવામાં આવી હતી, જ્યાંથી લોન મંજૂર થતાં જ તેમને બેંક ધિરાણ સાથે સરકારશ્રીની નિયમાનુસાર સબસીડી સહાય પણ પ્રાપ્ત થઈ હતી. મળેલા નાણાકીય બળ થકી તેમણે સૌંદર્ય પ્રસાધનના વ્યાપાર માટે પુરતા જથ્થામાં માલસમાનની ખરીદી કરી પોતાના વેપારને નવો વેગ આપ્યો હતો.
સરકારની યોજનાના સહયોગથી સફળતાના શિખરો સર કરનાર ચંપાબેન પરમારે પોતાના અનુભવો કરતા જણાવ્યું હતું કે, “અગાઉ આર્થિક ખેંચતાણને કારણે ધંધો આગળ વધારવો મુશ્કેલ હતો, પરંતુ આ યોજના થકી મને ખૂબ સહયોગ મળ્યો છે. આજે મારો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને મારું વાર્ષિક ટર્નઓવર રૂ. ૪ લાખ સુધી પહોંચ્યું છે. નાના ધંધાર્થીઓ અને મહિલાઓને પગભર બનાવવા માટે આ યોજના ખૂબ જ આશીર્વાદરૂપ છે. સમયસર ધિરાણ અને સબસીડી આપી અમને આત્મનિર્ભર બનાવવા બદલ હું સરકારનો આભાર માનુ છું.”