મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી
SHARE
મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી
મચ્છુકાંઠા રબારી સમાજના ઇતિહાસમાં ગૌરવનો એક સુવર્ણ પળ ઉમેરાયો છે. મોરબી જિલ્લાના ચાચાપર ગામના વતની અને પ્રતિભાશાળી યુવાન સુનિલભાઈ વજાભાઈ રાઠોડ કલાસ-1 અધિકારી તરીકે બઢતી મેળવી સમાજ કલ્યાણ વિભાગમાં નાયબ નિયામક (Deputy Director) તરીકે નિમણૂક પામ્યા છે.
મચ્છુકાંઠા રબારી સમાજમાંથી સૌપ્રથમ વખત કોઈ યુવાને આટલું ઊંચું અને પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિની સફળતા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનું જીવંત પ્રતિક બની છે. આ સમાચાર પ્રસરી જતા જ મોરબી સહિત સમગ્ર પંથકમાં આનંદ અને ઉત્સાહની લહેર ફરી વળી હતી. મોરબી શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવતા સુનિલભાઈને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ મચ્છુકાંઠા રબારી સમાજ માટે ગૌરવનો દિવસ છે. સુનિલભાઈ રાઠોડે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સમાજના દરેક યુવાન માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર સમાજની પ્રગતિ અને નવી દિશાનું પ્રતિબિંબ છે.” આ તકે શ્રી વડવાળા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ સોહનભાઈ રબારી તેમજ ઉપપ્રમુખ હીરાભાઈ ખાંભલા તેમજ જયમલભાઇ કરોતરા સહિતના આગેવાનો અને સમાજના પ્રતિષ્ઠિત લોકોએ પણ સુનિલભાઈને હાર્દિક અભિનંદન પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી હતી.









