મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો
SHARE
મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો
આગમી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ દ્વારા મુરતિયાઓને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે આજે મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી મૂકવામાં આવેલા નિરીક્ષકો આવ્યા છે અને ભાજપમાંથી ટિકિટની મેળવવા માટે આગેવાનો દ્વારા જુદીજુદી બેઠક ઉપર પોતાની દાવેદારી નોંધાવેલ છે અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે સરેરાશ 8 થી 10 આગેવાનો ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા હોવાની નિરીક્ષકોએ જણાવ્યુ છે.
મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે આજથી ત્રણ દિવસ સુધી મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની જુદીજુદી બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને સેન્સ લેવા માટે રમણભાઈ વોરા, દેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂપરેલીયા આવ્યા છે તેઓ દ્વારા ભાજપના આગેવાનોની સેન્સ લેવામાં આવી રહી હતી ત્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પણ ત્યાં હાજર રહ્યા હતા. આજે સવારે 9:30 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને પહેલા માળિયા તાલુકા પંચાયતની બેઠકો તેમજ માળિયા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટેની સેન્સ લેવામાં આવી હતી ત્યાર બાદ વાંકાનેર તાલુકા પંચાયત અને વાંકાનેર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ લેવામાં આવી હતી અને આજે સાંજ સુધીમાં વાંકાનેર નગરપાલિકા અને ટંકારા નગરપાલિકાની બેઠકો તેમજ ટંકારા તાલુકા પંચાયત અને ટંકારા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટેની સેન્સ લેવામાં આવશે.
આવતી કાલે પણ સેન્સ પ્રક્રિયા ચાલુ જ રાખવામા આવશે જેમાં હળવદ તાલુકા પંચાયતની બેઠકો અને હળવદ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવામાં આવશે. ત્યાર પછી મોરબી તાલુકા પંચાયતની બેઠકો અને મોરબી જિલ્લા પંચાયતની બેઠકો માટે લેવામાં આવશે ત્યાર બાદ માળિયા નગરપાલિકાની બેઠકો માટે દાવેદરોની સેન્સ લેવામાં આવશે અને શુક્રવારે મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે સવારથી સાંજ સુધીમાં સેન્સ લેવામાં આવશે અને તેના માટે પ્રદેશમાંથી બીજા નિરીક્ષકોને મૂકવામાં આવશે. અને અહિયાં આગેવાનોની સેન્સ લેવામાં આવ્યા બાદ પ્રદેશમાંથી જેને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તેને વિજેતા બનાવવા માટે બાકીના તમામ દાવેદારો કામે લાગી જશે તેવી હાલમાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો કહી રહ્યા છે.