મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન
મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન
SHARE
મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન
મોરબીના રવાપર ગામનો મહાપાલીકામાં સમાવેશ થયો છે જોકે, મહાકાલિકા દ્વારા ત્યાં લાઇટ, પાણી, રોડ રસ્તા, સફાઈની બાબતમાં ધ્યાન આપવામાં આવતું નથી જેથી રવાપર ગામે તળાવમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભરાઈ ગયું છે અને ત્યાં જંગલ ઊગી ગયું છે જેથી મચ્છરનો ઉપદ્રવ સહિતના પ્રશ્નો છે તે ઉપરાંત રોડ રસ્તા ખરાબ હોવાના કારણે ટ્રાફિકજામ સહિતની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે આ બાબતે મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય તથા કોંગ્રેસના આગેવાન દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરીને યોગ્ય કરવા માટેની માંગ કરવામાં આવી છે.
મોરબી તાલુકા પંચાયતના માજી સદસ્ય અને કોંગ્રેસના આગેવાન લલિતભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા દ્વારા મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, રવાપર ગ્રામ્ય વિસ્તારના લોકો ટેક્સ ભરવામાં નંબર વન છે પરંતુ મહાપાલિકા ત્યાં સુવિધા આપવામાં શૂન્ય સમાન સાબિત થઈ રહી છે. રવાપર ગામમાં જે તળાવ આવેલું છે ત્યાં ડ્રેનેજ ગટરનું ગંદુ પાણી ભરાઈ ગયું છે જેથી મચ્છરનો ઉપદ્રવ સહિતના પ્રશ્નો છે અને તળાવની ચોતરફ જંગલ ઊગી નીકળ્યું છે જેને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે તે ઉપરાંત કેનાલ ચોકડીથી ન્યુ એરા સ્કૂલ સુધીના રોડની હાલત દયનીય અને ખરાબ છે જેથી કેનાલ ચોકડી પાસે ટ્રાફિક સમસ્યાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સોસાયટીની અંદર સાફ-સફાઈ, ગટર લાઈનની સફાઈ અને સ્ટ્રીટ લાઈટના રિપેરિંગ માટે કોર્પોરેશનના કોઈ માણસો આવતા નથી.
આટલું જ નહીં ક્લસ્ટર- 11 ની ઓફિસમાં ફરિયાદ સાંભળે તેવા કોઈ અધિકારી હાજર હોતા નથી અને ફરિયાદ ઓનલાઇન કરવી બધાને આવડતી નથી. જેથી હાલમાં રવાપર ગામનો મોટાભાગનો વિસ્તાર રામ ભરોસે હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે રવાપરના લોકોને રોડ રસ્તા, લાઈટ, પાણી વગેરેની પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે મળે તેવી વ્યવસ્થા કરવા માટે થઈને માંગ કરી છે આ ઉપરાંત ક્લસ્ટર- 11 માં 15 દિવસે એક વખત એક કલાક માટે પણ કમિશનર ત્યાં હાજર રહે અને લોકોની ફરિયાદ સાંભળે તેવી પણ લાગણી અને માંગણી કરેલ છે. હાલમાં મહાપાલિકા દ્વારા જે રીતે ટેક્સ ઉઘરાવવા માટે ઉતાવળ કરવામાં આવે છે તેવી જ રીતે લોકોને સુવિધા આપવા માટે પણ ઉતાવળ કરવામાં આવે તે જરૂરી છે નહીં તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.









