સમાજને નવો રાહ ચીંધ્યો: મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત સમૂહલગ્નમાં શિક્ષિત અને સરકારી નોકરી કરતાં દીકરા દીકરો પણ જોડાયા
SHARE
સમાજને નવો રાહ ચીંધ્યો: મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજિત સમૂહલગ્નમાં શિક્ષિત અને સરકારી નોકરી કરતાં દીકરા દીકરો પણ જોડાયા
મોરબીમાં મચ્છુ કાંઠા હાલાર રબારી સમાજના સંગઠન એવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આગામી તા.25 મે ને રવિવારના રોજ લીલાપર- કેનાલ રોડ ઉપર રામકો રેસિડેન્સી પાસે આવેલ ઉમિયા નવરાત્રીના ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમૂહલગ્નમાં શિક્ષિત તેમજ સરકારી નોકરી કરતાં હોય તેવા દીકરા દીકરીઓ હોંશભેર જોડાય છે જેનાથી અન્ય સમાજને પણ પ્રેરણા મળશે. આટલું જ નહીં જે દીકરી દીકરીઓ સમૂહલગ્નમાં જોડાયેલ છે તેના ગામમાં 100-100 વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ બચાવવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવશે.
રબારી સમાજના સમૂહ લગ્નોત્સવમાં મોરબી ઉપરાંત સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ સહિત રાજ્યભરમાંથી 15 હજારથી વધુ મહેમાનો હાજરી આપશે. આ અવસરે અધ્યક્ષ સ્થાને શ્રી વડવાળા મંદિર- દુધરેજના મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ (ગુરૂ કલ્યાણદાસજી બાપુ) ખાસ ઉપસ્થિત રહીને નવદંપતિને આર્શીવાદ આપશે. તે ઉપરાંત રામબાલકદાસજી બાપુ અને બંસીદાસજી બાપુ સહિતના સંતો-મહંતો હાજર રહેશે તેમજ સમાજ રત્ન અને દાનવીર એવા રાજ્યસભાના સાંસદ બાબુભાઇ દેસાઈ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, વિનોદભાઈ ચાવડા, પૂનમબેન માડમ, ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઇ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા સહિત અનેક રાજકીય આગેવાનો અને અધિકારીઓની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહેશે.
આ સમૂહલગ્નમાં તા.25 ને રવિવારના રોજ યોજાવાના છે ત્યારે રવાપર ચોકડીથી લગ્ન મંડપ સુધી ભવ્ય સામૈયુ યોજાશે. જેમાં ઊંટ, બળદ ગાડા, ઘોડા અને પરંપરાગત વસ્ત્રો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાશે અને હુડો, ટીટોડો સહિતના રસની રમઝટ બોલાવશે. અને સાંજે 6 વાગ્યે સ્ટેજ કાર્યક્રમ શરૂ થશે. બાદમાં સાંજે 7 કલાકે હસ્ત મેળાપની વિધિ પછી મહાપ્રસાદ અને રાત્રીના સંગીતના કાર્યક્રમનું આયોજન કર્યું છે. વધુમાં માહિતી આપતા શ્રી વડવાળા યુવા સંગઠનના દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે કે, રબારી સમાજ ધરતી માતાના ખોળે રહેતો અને પર્યાવરણ તેમજ પ્રકૃતિ સાથે જોડાયેલો સમાજ છે. જેની ઝાંખી આ જાજરમાન સમૂહલગ્નોત્સવમાં જોવા મળશે. કેમ કે, પર્યાવરણના જતન માટે દરેક દીકરા અને દીકરીના ગામમાં 100-100 વૃક્ષનું વાવેતર કરવામાં આવશે અને મહેમાનોને પણ બોન સાઇઝ વડલા આપીને તેની સ્વાગત સન્માન કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, માત્ર નબળા પરિવારના સંતાનો કે પછી ઓછું ભણેલા હોય તેવા જ દીકરા દીકરીઓ નહીં પરંતુ શિક્ષિત દીકરીઓ અને સરકારીઓ નોકરિયાત પણ આ સમૂહલગ્નમાં જોડાયેલ છે જે અન્ય સમાજ માટે પ્રેરણારૂપ બનશે.
મેડિકલ કેમ્પ, વ્યસન મુક્તિ અને અંગદાન જાગૃતિના કાર્યક્રમો યોજાશે
સમૂહ લગ્નમાં આવનાર દરેક લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત તબીબોની ટિમ સેવા આપવાની છે. આ સાથે લગ્ન દરમિયાન વ્યસન મુક્તિ, અંગદાન અને દેહદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજાશે.
રાત્રે સંગીત કાર્યક્રમ, અનેક નામી કલાકારો સુરો રેલવાશે
સમુહલગ્નમાં રવિવારે રાત્રે વડાવલ 10 કલાકે સંગીત કાર્યક્રમ યોજાશે. જેમાં સુપ્રસિદ્ધ લોકગાયિકા રસ્મિતાબેન રબારી, ગાયક દેવપગલી, માલધારી મોરલો અને દાંડિયા કિંગ તરીકે જાણીતા યુનુસભાઈ શેખ, લોકગાયિકા મિતલબેન રબારી વિશ્વાબેન રબારી અને કુલદીપ રબારી સુરો રેલવાશે. તેમના સુર ઉપર મોટી સંખ્યામાં લોકો રાસ લેશે. આ કાર્યકમનું સંચાલન શૈલેષભાઇ રાવલ કરશે.