મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
SHARE
મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનમાં મંત્રણા કરવા માટે સરકારે મૌખિક આમંત્રણ આપ્યું હતું ત્યારે મૌખિખ નહીં પરંતુ લેખિત આમંત્રણ આપવામાં આવે સરકાર તરફથી પછી જ ખેડૂતો મંત્રણા કરવા જશે તેવું કહેવામાં આવ્યું હતું જોકે, હાલમાં જ્યારે સરકારે ખેડૂતોને તેઓના પ્રશ્નને લઈને મંત્રણા કરવા લેખિતમાં આમંત્રણ આપ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા આમંત્રણ પત્રને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને ખેડૂતોએ જે છ માંગણી લખીને આપી હતી તે માંગણી મુદ્દે સરકાર શું કરવા માંગે છે તેનો જવાબ આપે ત્યાર પછી જ સરકાર સાથે મંત્રણા કરવા માટે જઈશું તેવું હાલમાં ઉપવાસએ અધિકારીઓને જણાવી દીધું છે
છેલ્લા 11 દિવસથી મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી કંપનીના વીજપોલ સામે વધુમાં વધુ વળતર મેળવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યુ છે અને આમરણાંત ઉપવાસ આંદોલનના 11 માં દિવસે સરકાર તરફથી આંદોલન કારીઓને મંત્રણા કરવા માટે લેખિત આમંત્રણ મોકલવામાં આવ્યું છે અને આ આમંત્રણ કલેક્ટર મારફતે પ્રાંત અધિકારી દ્વારા ઉપવાસીઓને આપવામાં આવ્યું હતું જો કે ઉપવાસીઓએ આમંત્રણ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે જેથી મામલો ગુચવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
આજે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા રવિવારે રજાના દિવસે કલેક્ટર કચેરી ખાતે તાબડતોબ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને કલેક્ટરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા તેઓને એક પત્ર મોકલાવવામાં આવ્યો છે જેમાં જેતપર ગામે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યાં ઉપવાસ કરી રહેલા ખેડૂતો તથા તેઓની સમિતિને મંત્રણા કરવા માટે થઈને સરકાર દ્વારા લેખિત આમંત્રણ આપવામાં આવ્યું છે અને કોઈપણ પ્રશ્ન હોય તો તેનો ચર્ચા કર્યા બાદ નિરાકરણ આવે તેવું સરકાર માને છે જેથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે આ આમંત્રણ સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવ્યું છે જો કે, સરકારમાંથી જે પત્ર આવ્યો હતો તે પત્રને લઈને મોરબીના પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા
જોકે, પ્રાંત અધિકારી સરકારનું લેખિત આમંત્રણ લઈને ઉપવાસી છાવણી ખાતે ઉપવાસી ખેડૂતો અને તેઓની સમિતિને આપવા માટે ગયા હતા. ત્યારે ખેડૂતોએ આ પત્ર સ્વીકારવાનો નનૈયો કર્યો હતો અને હાલમાં ઉપવાસ કરી રહેલા નેહુલભાઈ અમૃતિયાએ સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને કહ્યું હતું કે અમારી છ માંગણીઓ અમે સરકારને લખીને અધિકારી મારફતે મોકલાવી દીધેલ છે અને આ છ માંગણીઓ મુદે સરકાર શું કરવા ઈચ્છે છે તેની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા પત્રમાં કરવામાં આવી નથી એટલે પહેલા અમારી છ માંગણીઓ જે છે તેને લઈને સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે અને ત્યાર પછી અમને જ્યારે બોલાવશે ત્યારે અમે ચર્ચા કરવા માટે અને મંત્રાણા કરવા માટે સરકાર પાસે જવા માટે તૈયાર છે તેવી લાગણી ઉપવાસીઓ અને જેતપર ગામે ખેડૂતો દ્વારા અધિકારીઓ સમક્ષ વ્યક્ત કરી છે આમ અગાઉ સરકાર લેખિત આમંત્રણ આપે ત્યાર પછી મંત્રણા કરવા માટે જવાનું કહેતા ખેડૂતો હવે પોતાની વાત ઉપરથી ફરી ગયા હોવાના કારણે મામલો ગૂંચવાય તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે.