મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં
SHARE
મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં
મોરબી-વાંકાનેર હાઈવે ઉપરના મકનસર ગામે સિરામિક યુનીટ પાસે રહીને મજુરીકામ કરતા અલીસાબેન સમીરભાઈ પ્રધાન નામની 22 વર્ષીય મહિલા એસીડ પી જતા સારવાર માટે મોરબી લવાયા હતા. તેણીને તેના પતિ સાથે ઝગડો થયા બાદ મનોમન લાગી આવતા ઉપરોકત પગલુ ભરી લીધુ હતું.
તાલુકા પોલીસને જાણ થતા પીએસઆઈ ડી.ડી. જોગેલાએ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. જયારે વાંકાનેરના વરડુસર ગામે રહેતા પ્રેમીબેન જીવણભાઈ સેવરીયા (60) નામના વૃધ્ધાએ અગમ્ય કારણોસર તેમની વાડીએ દવા પી લેતા તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
ફિનાઈલ
મોરબી વીસીપરા ચાર ગોડાઉન પાસે રહેતા કોમલબેન દિનેશભાઈ કુંઢીયા (23)એ કોઈ કારણસર ફીનાઈલ પી લેતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે ઘુંટુ રોડ સીરામીક યુનીટના લેબર કવાટરમાં રહી મજુરી કરતા પરીવારની શાંપ્રિ સંજયભાઈ પરમાર નામની બે વર્ષની બાળકી રમતા રમતા ભુલથી કેરોસીન પી જતા તેણીને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી. તેમજ માળીયા હાઈવે ભરતનગર પાસેના સોમાણી સિરામીક પાસે રહેતા સુમિત્રાબેન ગોવિંદભાઈ વિશ્વકર્મા (25) નામની મહીલાને મારામારીમાં ઈજા થતા દવાખાને સારવાર માટે ખસેડાયા હતા.
યુવાન સારવારમાં
મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન રોડ ઉપરના વેલેન્ઝે સીરામીક નજીક રહી મજુરી કરતા પ્રકાશભાઈ ગગજીભાઈ દેવીપૂજક નામના યુવાનને ત્યાં મારામારીમાં કાન કપાઈ જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
જયારે બંધુનગર ગામે મારામારીના બનાવમાં અશોક સીયારામ બીશ્નોઈ (25) નામના યુવાનને સિવિલે સારવાર માટે લવાયો હતો. તેમજ ત્રાજપર ખાતે રહેતો કલ્પેશ પ્રવીણભાઈ વરાણીયા (25) નામનો યુવાન ઘરે ફીનાઈલ પી જતા સારવારમાં ખસેડાયો હતો.
જયારે મોરબી મહેન્દ્રનગર ગામે આઈટીઆઈ સામે ઝુંપડામાં રહેતો મોહનકુમાર નામનો ચાલીસ વર્ષનો યુવાન કામ દરમ્યાન ઉંચાઈએથી પડી જતા અત્રેની સિવિલેથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.