મોરબીના રાજપર-ચાંચાપર રોડ ઉપર બાઈક સહિત નવા બનતા પુલીયામાં પડી જતા યુવાનનું મોત
SHARE
મોરબીના રાજપર-ચાંચાપર રોડ ઉપર બાઈક સહિત નવા બનતા પુલીયામાં પડી જતા યુવાનનું મોત
મોરબીના વાવડી રોડ ભગવતીપરા વિસ્તારમાં રહેતો સતારભાઈ હાજીભાઈ પીલુડિયા નામનો ૪૦ વર્ષનો મુસ્લિમ યુવાન મૂળ જોડીયા તાલુકાના પીઠડ ગામનો વતની હોય અને ત્યાં તેના માતા-પિતા રહેતા હોય તેઓને મળવા માટે ગયેલ હતો.અને ગત તા.૧૩-૫ ના રોજ તે પીઠડ ગામેથી પરત પોતાનું બાઈક લઈને મોરબી બાજુ આવતો હતો ત્યારે રાજપર-ચાંચાપરની વચ્ચે નવા બનતા પુલિયા ખાતે તે બાઈક સહિત પુલિયામાં પડી ગયો હતો.જેથી માથા તથા શરીરે ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ સતારભાઇનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કાનજીભાઈ બચુભાઈ ઝિંઝુવાડીયા નામના ૪૦ વર્ષના યુવાનને તેના ઘર પાસે ધોકા વડે માર મારવામાં આવતા ઈજા પામેલ હોય તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
રફાળેશ્વર અકસ્માત
મોરબીના રફાળેશ્વર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રીક્ષાની પાછળથી છોટા હાથીના ચાલકે તેનું વાહન અથડાવી દેતા રિક્ષામાં બેઠેલા રેખાબેન અલ્પેશભાઈ રાઠોડ (૩૩) રહે.મૂળ ભાવનગર હાલ મોરબીના બંને પગે ઇજાઓ થઈ હોય તેમને અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના નેશનલ હાઈવે સાદુરકા ગામ પાસેે આવેલ કારખાનામાં કામ દરમિયાન કન્વીન્યર બેલ્ટમાં હાથ આવી જવાથી કોણીએથી હાથ કપાઈ જતા રેજીતસિંગ ગૌડ (૨૫) રહે.હાલ સાદુરકાને અહિંની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
રાજપર મારામારી
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા અમિતભાઈ રમેશભાઈ પરસોંડા નામના ૨૨ વર્ષના યુવાનને રાજપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજા થઈ હોય સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.તેમજ હળવદના ઇસનપુર ગામે રહેતા ભુપતભાઈ તળશીભાઇ પરમાર નામના ૩૯ વર્ષના યુવાનને ઘરે મારામારીના બનાવમાં ઈજા થતાં તેને મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. મહિલા સારવારમાં
હળવદ ખાતે રહેતા સંગીતાબેન ગુલાબભાઈ ઠાકુર (૩૦) નામના મહિલા પગપાળા જતા હતા.ત્યારે બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ઇજા પામતા સારવાર માટે મોરબી લાવામાં આવ્યા હતા.તેમજ મોરબી વજેપર પાછળ આવેલ શિવ સોસાયટી ખાતે રહેતા પ્રીતિબેન હિતેશભાઈ આજોલા નામના ૨૫ વર્ષેીય મહિલાને ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ મોરબીના નવા બસ સ્ટેશન પાસે બાપાસીતારામ મઢુલી નજીક મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ધનજીભાઈ ઝીણાભાઈ ચુડાસમા નામના ૭૫ વર્ષના કોળી વૃદ્ધને સારવાર માટે સિવિલએ લાવવામાં આવ્યા હતા
ફાંસો ખાતા સારવારમાં
મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અસ્મિતાબેન તપેન્દ્રભાઈ થાપા નામના ૨૩ વર્ષીય મહિલાએ દુપટ્ટા વડે તેમના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેમને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસને જાણ કરવામાં આવા હોય એ ડિવિઝન પોલીસ મથકના વનિતાબેન સીચણાદા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી