મોરબીના ટીંબડી ગામ પાસેથી યુવતી ગુમ
SHARE
મોરબીના ટીંબડી ગામ પાસેથી યુવતી ગુમ
મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામ પાસે રહેતા પરિવારની યુવતી ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર રાત્રીના ગુમ થયેલ હોય હાલ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ જામજોધપુરના ધ્રાફા ખાતે રહેતા અને હાલ મોરબીના ટીંબડી ગામ પાસે ઓમ મિનરલ નજીક રહેતા પરિવારની સોનલબેન ખીમજીભાઈ મકવાણા નામની ૨૫ વર્ષની યુવતી ટીંબડી પાસે આવેલ ઓમ મિનરલ નજીકથી ગત તા.૧૧-૫ ના રાત્રિના બે વાગ્યાના અરસામાં ગુમ થઈ ગયેલ છે.ઘરમેળે શોધખોળ કરવા છતાં તેણીનો પતો લાગ્યો ન હોય તેના માતા રેખાબેન ખીમજીભાઈ મકવાણા રહે.ટીંબડી દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય બનાવ અંગે ગુમસુધા નોંધ કરીને સ્ટાફના ફિરોજભાઈ સુમરા અને આરીફભાઈ સુમરા દ્વારા ગુમ થયેલા સોનલબેન મકવાણાની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.
રફાળેશ્વર મારામારી
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં પરસોતમ રવજીભાઈ દેવીપૂજક (૪૦) રહે.નાડધ્રા, લાલજીભાઈ હેમુભાઇ દેવીપુજક (૪૬) તથા દેવરાજ લાલજીભાઈ (૧૯) રહે. બંને સરા તા.ધ્રાંગધ્રા ને ઇજા થયેલ હોય અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના કંડલા બાયપાસ ૨૫ વારીયા ખાતે રહેતા ખેરૂનબેન મુસ્તાકભાઈ બલોચ (૪૦) નામની મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હોય તેને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના વીસીપરા વિસ્તારમાં કાર ચાલકે ટક્કર મારતા તુફેલભાઈ જુમાભાઇ બ્લોચ નામના ૧૮ વર્ષના યુવાનને ઇજા થઈ હોય સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
મારામારીમાં ઈજા
મોરબીના જોન્સનગર વિસ્તારમાં ઘર પાસે મારામારી થયેલ હોય તે બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા રેહાન ફિરોજભાઈ બેલિંમ નામના ૨૦ વર્ષના યુવાનને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.જ્યારે કચ્છના રાપર તાલુકાના ગાણોદર ગામે રહેતા સુરેશભાઈ દેસરભાઈ ઉમઠીયા નામના ૨૦ વર્ષના યુવાનને કચ્છના આધોઈ ખાતે મારામારીના બનાવમાં ઈજા થઈ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
માતા-પુત્ર સારવારમાં
માળીયા મિંયાણા ખાતે રહેતા ખેરૂનબાનુ રમઝાનભાઈ પારેડી નામના ૨૭ વર્ષની મહિલાને સાપ કરડી ગયો હતો અને તે મહિલા દ્વારા તેના પુત્ર કાદર રમજાનભાઈ (૦૧) ને સ્તનપાન કરાવવામાં આવેલ જેથી બંનેને ઝેરી અસર થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેર હાઇવે ઢુવા બ્રિજ ખાતેના પંપ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ મનોજકુમાર (ઉંમર ૫૦) નામના આધેડને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.