હળવદના સુંદરગઢ ગામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ લેવા ખેડૂતોએ કેરબાની લાઈનો લગાવી
મોરબીના ખાખરાળાનું ખમીર: ડાંગર કુળની અમર શૌર્યગાથા અને ભવ્ય સુરપુરા ધામ પાળીયાનો પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
SHARE
મોરબીના ખાખરાળાનું ખમીર: ડાંગર કુળની અમર શૌર્યગાથા અને ભવ્ય ‘સુરપુરા ધામ’ પાળીયાનો પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
મોરબીના ખાખરાળા ખાતે ડાંગર કુળના શૌર્યવંતા પૂર્વજોની સ્મૃતિમાં સમસ્ત ડાંગર પરિવાર દ્વારા આયોજિત ભવ્ય 'સુરપુરા ધામ' પાળિયા અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.મહોત્સવના પ્રથમ દિવસે વીર પુરુષ હમીરબા (હાથી) ડાંગરના અશ્વરૂઢ ભવ્ય સ્ટેચ્યુનું અનાવરણ પૂજ્ય સંતો-મહંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ સાથે જ સુરપુરા ધામ ખાતે પૂજ્ય પુંજાબાપુ, મેસુરબાપુ અને હમીરબાપુની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પુનઃ સ્થાપના કરવામાં આવી હતી.
આ ત્રિદિવ્ય ઉત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભવ્ય 'મહારાસ' તથા રાત્રે ખ્યાતનામ કલાકારોના સંગાથે લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં વીરરસ અને ભક્તિરસની રમઝટ બોલાઈ હતી.આ પ્રસંગે વિવિધ ધામના પૂજ્ય મહંતશ્રીઓ તથા સંતોએ વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમને આયોજનબદ્ધ રીતે સફળ બનાવવા માટે સમસ્ત ડાંગર પરિવારના ઉત્સાહી યુવાનોએ રાત-દિવસ જોયા વગર ભારે જહેમત ઉઠાવી સેવા આપી હતી.મોરબીના ખાખરાળાની પવિત્ર ધરા પર ઇતિહાસ અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. જ્યાં એક સમયે તલવારોની ધાર પર ધર્મ અને ધરતીનું રક્ષણ થયું હતું, ત્યાં જ આજે ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા અને લોક ડાયરાની રમઝટ જામી હતી.
ઇતિહાસના અજવાળે: ડાંગર કુળનું રાજવી તેજ
ખાખરાળાની ધરતીના રક્ષક એવા પુંજાબાપુ ડાંગર માત્ર એક વીર પુરુષ જ નહીં, પણ મોરબીના મહારાજ અલીયોજીના પરમ મિત્ર અને મુખ્ય રાજકીય સલાહકાર હતા.તેમની બુદ્ધિ અને વફાદારીના કિસ્સાઓ આજે પણ મોરબીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કંડારેલા છે.પુંજાબાપુએ રાજ પ્રત્યે નિભાવી ગયેલી અડગ નિષ્ઠાએ જ ડાંગર કુળની યશપતાકાને આખા પંથકમાં લહેરાવી હતી.
‘હમીર હાથી’ અને મેસુરબાપુનું અજોડ શૌર્ય
પુંજાબાપુના બે સિંહ સમાન પુત્રો એટલે મેસુરબાપુ અને હમીરબાપુ.જેમણે મોરબી રાજ્યની અજેય ઢાલ બનીને અનેક ધીંગાણા ખેડ્યા હતા.હમીરબાપુની અદભૂત શારીરિક શક્તિને કારણે લોકો તેમને 'હમીર હાથી' કહેતા. કહેવાય છે કે પડધરીના યુદ્ધમાં જ્યારે હાથીઓ પણ ગઢના દરવાજા તોડી ન શક્યા,ત્યારે આ વીરે પોતાના ખભેથી લોખંડી કમાડ ઉખેડી નાખ્યા હતા.લતીપરના મેદાનમાં ખપી જનાર આ વીરોની યાદમાં આજે પણ ખાખરાળાના પાદરે ૧૬ સ્તંભનું ભવ્ય કોતરણીવાળું દેવળ ઉભું છે.
ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા અને સ્ટેચ્યુ અનાવરણ
આ શૂરવીરોની સ્મૃતિને તાજી રાખવા ખાખરાળા મધ્યે સમસ્ત ડાંગર પરિવાર દ્વારા ૧૪ અને ૧૫ મે ૨૦૨૬ ના રોજ ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ૧૫ મે ના રોજ સાંજે ૪:૩૦ કલાકે વીર પુરુષ હમીરબા (હાથી) ડાંગરના ભવ્ય સ્ટેચ્યુનું અનાવરણ સંતો-મહંતોના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ.આ સાથે જ પુંજાબા, મેસુરબા અને હમીરબાની મૂર્તિઓની સુરપુરા ધામ ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે પુનઃ સ્થાપના કરવામાં આવી હતી.
મહારાસ અને સંતવાણીની જમાવટ
ધાર્મિક વિધિઓની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વણઝાર જોવા મળેલ.૧૫ મે ની સાંજે ભવ્ય 'મહારાસ' રમાયો જ્યારે રાત્રે ૯:૩૦ કલાકે લોકસાહિત્ય અને ભક્તિનો સમન્વય સર્જાયો.જેમાં ગુજરાતના નામી કલાકારો દેવરાજ ગઢવી (નાનો ગઢવી), વાલાભા ગઢવી, લાખાભાઈ કુંભારવાડીયા અને રાજુભાઈ આહીર પોતાની વાણીથી વીરરસ અને ભક્તિરસની હેલી વરસાવી હતી.
સંતોના આશીર્વચન અને ભાવભર્યું નિમંત્રણ
મહોત્સવમાં રૂદ્રાણી જાગીરના પૂજ્ય મહંતશ્રીઓ અને વોંધ નવલાખુ થડેથી આઈ જહુમાઁ તારાણાથી મૂળિઆઈ માઁ પાળીયાદ ધામ બગથળા નકલંક ધામ જાજાસર જગ્યાના મહંત નંદા ભગત સહિતનાઓએ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા.સમસ્ત ડાંગર પરિવાર દ્વારા આ ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગે ભાવભર્યું નિમંત્રણ પાઠવી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં ડાંગર પરિવારના મોભી રાજકોટના પૂર્વે મેયર અશોકભાઈ ડાંગરે પણ સમગ્ર ડાંગર પરિવારને સાથે ચાલી સાથે રહી પરિવાર અને સમાજના દરેક કાર્યમાં આપણું યોગદાન આપવા ટકોર કરી હતી.ખાખરાળાની માટી આજે પણ આ વીરોના બલિદાનની ગવાહી આપે છે, આવો આપણે સૌ સાથે મળીને આ શૌર્યવંતા પૂર્વજોને યાદ કરીએ