સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ
SHARE
સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ
મોરબીમાં સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરવા માટે ગેસની જરૂર પડતી હોય છે અને ગેસ ન મળવાના કારણે ઉદ્યોગકારોએ સામૂહિક રીતે નિર્ણય કરીને પોતાના કારખાના બંધ કર્યા છે અને કારખાના બંધ થતાની સાથે જ કારખાનેદારો દ્વારા કારખાનામાં આજથી જ મેન્ટેનન્સનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે તેના કારણે દુનિયાના જુદા જુદા દેશની અંદર મોટા પ્રમાણમાં તેની અસર જોવા મળી રહી છે ત્યારે જો ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ મોરબી શહેરની આસાપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે તેની વાત કરીએ તો અહી લગભગ 600 કરતાં વધુ સિરામિકના નાના-મોટા કારખાના આવેલા છે તેમાં લાખો લોકોને રોજગારી મળતી હોય છે જોકે સીરામીક કારખાનાની અંદર સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસ અથવા પ્રોપેન ગેસનો ઉપયોગ થતો હોય છે.
જો કે, પ્રોપેન ગેસ યુધ્ધ શરૂ થયું ત્યારથી મળતો નથી અને નેચરલ ગેસ પણ પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાના કારણે જે કારખાનેદારોએ તેઓના ક્વોટા મુજબનો ગેસ વાપરી લીધેલ હોય તેઓના કારખાનામાં ગેસના વાલ્વ બંધ કરવામાં આવી રહ્યા છે અને જે કારખાનામાં નેચરલ ગેસ હાલમાં મળી રહ્યો છે તેઓનો પણ ક્વોટા પૂરો થઈ જશે એટ્લે ગેસની લાઇનના વાલ્વ બંધ કરી દેવામાં આવશે. જેથી ઉદ્યોગકારોએ ગઇકાલે મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મિટિંગ યોજીને મોરબીમાં એક મહિના સુધી તેમના કારખાના બંધ રાખવા માટેનો સામૂહિક નિર્ણય લીધેલ હતો.
ખાસ કરીને મોરબીના કારખાનામાં 24 કલાક ટાઇલ્સ બનાવવા માટેનું કામ ચાલુ રહેતું હોય છે પરંતુ હાલમાં કારખાના ગેસના અભાવના લીધે બંધ થયા છે ત્યારે સમયનો સદુપયોગ કરીને કારખાનેદારો દ્વારા આજથી જ તેઓના બંધ કારખાનામાં મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી દીધેલ છે. ઉલેખનીય છે કે, સિરામિકના કારખાનામાં કિલરની અંદર ટાઇલ્સ બનાવવાનું કામ થતું હોય છે અને તે કીલન સહિતની મશીનરીનું સમયાંતરે મેન્ટેનન્સ કરવું પડે છે. જે હાલમાં મોટાભાગના કારખાનાઓમાં શરૂ કરી દેવામાં આવી છે તેવી માહિતી ઉદ્યોગકારો પાસેથી જાણવા મળી રહી છે
મોરબીના સિરામિક કારખાનાઓમા ટાઇલ્સનું ઉત્પાદન કરવા માટે જે ગેસની કિલન એટલે કે ભઠ્ઠી 24 કલાક ચાલુ રહે છે અને ત્યાં 24 કલાક 1200 ડિગ્રી તાપમાન વચ્ચે ટાઇલ્સનું ઉત્પાદન ચાલુ રહેતું હોય છે. કોઈપણ સિરામિકના કારખાનામાં ભઠ્ઠીને બંધ કરવા માટે ધીમેધીમે તેનું તાપમાન ડાઉન કરવામાં આવે છે જેથી બંધ થતાં અંદાજે બે દિવસ જેટલો સમય લાગે છે અને પછી કિલન જયારે ચાલુ કરવાની હોય છે ત્યારે 1200 ડિગ્રી સુધીનું તાપમાન સેટ કરવા માટે પણ બે દિવસ જેટલો સમય લાગે છે એટ્લે કે 1200 ડિગ્રીથી ઓછું તાપમાન ભઠ્ઠીની અંદર હોય તો સિરામિક ટાઇલ્સ તેમાં બનતી નથી.
મોરબીના સિરામિક ઉદ્યોગકારોના કહેવા મુજબ સીરામીક કારખાનામાં ટાઇલ્સની કિલન (ભઠ્ઠી) ચાલુ થાય અને બંધ થાય તે દરમિયાન ઉદ્યોગકરોને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે જોકે હાલમાં ગેસ ન મળતો હોવાના કારણે ઉદ્યોગકારોએ ના છૂટકે પોતાના કારખાના બંધ કરવા પડ્યા છે ત્યારે જે શ્રમિકો કારખાનામાં રહે છે તેઓને રોજગાર ચાલુ રહે અને કારખાનાની અંદર મશીનરીમાં જરૂરિયાત મુજબનું મેન્ટેનન્સનું કામ પણ થઈ જાય તે માટે થઈને હાલમાં કારખાનેદારો દ્વારા પોતાના શ્રમિકોને મેન્ટેનન્સની કામગીરીમાં લગાડી દેવામાં આવ્યા છે અને જ્યારે ફરી પાછો રાબેતા મુજબ ગેસ મળતો થાય ત્યારે મોરબીના સિરામિક કારખાના ફરી ધમધમતા થઈ જશે.