મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય
SHARE
મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય
મોરબીમાં તાજેતરમાં સિરામિક ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી અને તેમાં સિરામિક રોમટીરીયલના તમામના ભાવમાં વધારો થયો હોવાથી જીવીટી ટાઇલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે અને પહેલી જૂનથી આ ભાવ વધારો અમલમાં મુકવામાં આ આવશે અને તેની સાથોસાથ એડવાન્સ પેમેન્ટ સાથે જ ગ્રાહકોના ઓર્ડર લેવામાં આવશે અને માલ પૂરો પાડવામાં આવશે તેવો પણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવે છે આટલું જ નહીં તે અંગેની સીરામીક ઉદ્યોગકારો દ્વારા પોતાના ગ્રાહકોને જાણ કરી દેવામાં આવી છે.
મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ વિશ્વ કક્ષાના સીરામીક ઉદ્યોગની અંદર સીરામીકની જુદી જુદી પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે અને તે પ્રોડક્ટ બનાવવા માટે થઈને નેચરલ ગેસ સહિતના જે કોઈ રોમટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેના ભાવમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધની સ્થિતિ પછી સરેરાશ 10 થી લઈને 40 ટકા જેટલો ભાવ વધારો આવ્યો છે જેના કારણે સીરામીક પ્રોડક્ટની પડતર કિંમતમાં વધારો થઈ ગયો છે માટે સિરામિક ઉદ્યોગકારોએ પોતાની તૈયાર પ્રોડક્ટના ભાવમાં વધારો કરવો અનિવાર્ય છે.
મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે સિરામિક ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી અને આ મીટીંગ ની અંદર સીરામીક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. વધુમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે નેચરલ ગેસના ભાવ બમણા થઈ ગયા છે અને અન્ય રોમટીરીયલના ભાવમાં પણ વધારો થયો છે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોને હાલમાં લોકલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકવું મુશ્કેલ બની ગયું છે માટે હાલમાં મળેલી મિટિંગમાં જીવીટી ટાઇલ્સ બનાવતા કારખાનેદારોએ હાલમાં જે ભાવથી જીવીટી ટાઇલ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેના વર્તમાન ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે એન તેના માટેની બોટમ પ્રાઇઝ 32 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે.
જોકે, આ મિટિંગમાં માત્ર ભાવ વધારો કરવામાં આવ્યો છે એટલું જ નથી પરંતુ પહેલી જૂનથી આ ભાવ લાગુ પડશે તેની સાથોસાથ ગ્રાહકોને અત્યાર સુધી મોરબીમાં જે રીતે ઉધારમાં માલનું વેચાણ થતું હતું તેના ઉપર પણ બ્રેક લાગવાની છે અને સિરામિક પ્રોડક્ટની ખરીદી કરવા માટે થઈને ગ્રાહકોએ એડવાન્સમાં સો ટકા પેમેન્ટ આપવું પડશે. અને પેમેન્ટ ચૂકવવામાં આવ્યા બાદ જ સીરામીક કારખાનામાંથી ગ્રાહકને તેના માલની ડીલેવરી આપવામાં આવશે. તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલ યુદ્ધ પછીથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અગાઉ બે મહિના સુધી સિરામિક કારખાના બંધ રહ્યા હતા ત્યારબાદ સીરામીક કારખાના શરૂ થયા છે પરંતુ નેચરલ ગેસ સહિતના તમામ રોમટીરીયલનો ભાવ વધી ગયો છે. જેથી સીરામીક પ્રોડક્ટની પડતર કિંમત ઊંચી આવતી હોવાના કારણે બજારમાં ટકી રહેવા માટે ઉદ્યોગકારોએ સિરામિક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બની ગયો છે જો ભાવ વધારો કરવામાં ન આવે તો મોટાભાગના સિરામિક કારખાનાઓ બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નથી.