મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો
મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર
SHARE
મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબીમાં પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી અને જેમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ, કોંગ્રેસ અને આમા આદમી પાર્ટીમાંથી બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટો આપવામાં આવે તે વાત ઉપર બ્રહ્મ સમાજના આગેવાનો એક મત થયા હતા અને દરેક પાર્ટી પાસે બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનો માટે ટિકિટની માંગણી કરવામાં આવશે.
વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામત અને તે ઉપરાંત અન્ય અનામત બેઠકો આવે છે અને બાકીના પુરુષ આગેવાનોને ટિકિટ આપવામાં આવતી હોય છે જો કે, દરેક જ્ઞાતિ સમાજ દ્વારા પોતપોતાના સમાજના અગ્રણીઓને વધુમાં વધુ ટિકિટો મળે તેના માટે થઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયા છે ત્યારે મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજની વાત કરીએ તો મોરબી શહેરીમાં અંદાજે 14 થી 15 હજાર જેટલું બ્રહ્મ સમાજનું વોટીંગ છે જો કે, પાલિકાની છેલ્લી ચુંટણીમાં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને હાંસિયામાં ધકેલીને માત્ર મહિલાઓને ટિકિટ રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવી હતી.
જોકે મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટોમાં ભૂતકાળનું પુનરાવર્તન ન થાય તે માટે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યાની આગેવાનીમાં અનિલભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા, ભુપતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતામ રવિન્દ્રભાઈ ત્રિવેદી, નીરજભાઈ ભટ્ટ, અમુલભાઈ જોશી, નલિનભાઈ ભટ્ટ સહિતના બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી જેમાં આગામી સમયમાં આવી રહેલ ચૂંટણીમાં બ્રહ્મ સમાજને કઈ રીતે વધુમાં વધુ ટિકિટો મળે તેના માટે સહુ આગેગનોએ પોતપોતાની લાગણી વ્યક્ત કરી હતી જેમાં ખાસ કરીને સહુ કોઈનો એક જ સૂર હતો કે “મોરબીમાં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને વધુમાં વધુ ટિકિટો ત્રણેય રાજકીય પક્ષ તરફથી આપવામાં આવે તેના માટેની માંગણી પરશુરામ ધામ દ્વારા કરવામાં આવશે.
વધુમાં મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ હસુભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું કે, બ્રહ્મ સમાજના જે આગેવાનો ચૂંટણી લડવા ઈચ્છતા હોય તે આગેવાનોએ ફોર્મ ભરીને પરશુરામ ધામ ખાતે આપવાના રહેશે અને ત્યારબાદ આવેલા ફોર્મના આધારે રાજકીય પક્ષો પાસેથી ટિકિટ માટેની પૂરી તાકાત સાથે માંગણી કરવામાં આવશે. અને બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ વધુમાં વધુ ટિકિટ મળે તેના માટે પરશુરામ ધામ અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પૂરેપૂરી તાકાત લગાવવામાં આવશે.