વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે
SHARE
વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વકીલ યુવાનના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરમાંથી સોનાની બે વીટી, સોનાનો એક ચેન તથા રોકડા રૂપિયા સહિતના મુદામાલની ચોરી કરી હતી તેમજ જુદીજુદી સોસાયટીમાં નાના મોટી ચોરીની ઘટનાઓ બની હતી જેથી કરીને ચોરીની ઘટનાઓને અંજામ આપનારા આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં વાંકાનેર સિટી પોલીસે વડોદરાથી ચોરીના આ ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને પકડ્યા છે અને તેની પાસેથી 7 તોલા સોનાનો ઢાળિયો તેમજ રોકડા રૂપિયા 20 હજાર કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ જટુભા જાડેજાએ ગત જાન્યુઆરી માહિનામાં અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, તેના મકાનનો મુખ્ય દરવાજો તોડીને અજાણ્યા શખ્સ દ્વારા ઘરમાંથી સોનાની એક તોલાની બે વીંટી, સોનાનો એક તોલાનો એક ચેન તથા 5000 રૂપિયા રોકડા આમ કુલ મળીને 45000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે તે ઉપરાંત અન્ય સાહેદોના મકાનમાંથી 15000 ના મુદામાલની ચોરી થઈ હતી જેથી કરીને ચોરીની આ ઘટનાઓને અંજામ આપનારા આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી.
દરમિયાન વાંકાનેર સીટી પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ, ટેકનિકલ સોર્સ, ટાવર ડમ્પના માધ્યમથી શંકાસ્પદ નંબરોના સીડીઆર મેળવવામાં આવ્યા હતા અને તેના આધારે ઝીણવટ પૂર્વકની તપાસ ધર્મેન્દ્રભાઈ વાઘડિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તથા રાણીગભાઈ ખવડ દ્વારા કરવામાં આવી હતી અને વડોદરા ખાતેથી આ ગુનામાં પોલીસે રાજસિંઘ સતનામસિંઘ બાવરી રહે. શંકરનગર તુલસી હોટલ પાસે પ્રતાપગંજ સયાજીગંજ વડોદરા તથા કુલદીપસિંઘ બીરસિંઘ ટાંક રહે. સાકરદા ગામ વડોદરા અને કાયદાના શંકર આવેલ એક બાળકિશોર મળી આવ્યા હતા હાલમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
વધુમાં માહિતી આપતા ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યુ હતું કે, આરોપીઓ પાસેથી હાલમાં ચોરીમાં ગયેલ 7 તોલા સોનાનો ઢાળીયો જેની કિંમત 1 લાખ રૂપિયા તથા 20 હજાર રૂપિયા રોકડા આમ કુલ મળીને 1.20 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે. અને આ સિખલિકાર ગેંગને પકડવા માટે વાંકાનેર પોલીસ 7 દિવસ સુધી વડોદરામાં રોકાયેલ હતો અને આરોપીઓને ત્યાંથી પકડીને વાંકાનેર લઈને આવેલ છે. અત્રે ઉલ્લેખનીએ છે કે આરોપીઓ રાત્રિ દરમિયાન સોસાયટીમાં બાઈક લઈને નીકળતા હતા અને તાળા મારેલા મકાનને ડિસમિસ અથવા લોખંડના સળિયા વડે તાળું તોડી નાખતા હતા અને ઘરમાં ચોરી કરતા હતા હાલમાં પકડાયેલા બે આરોપી પૈકી કુલદીપસિંઘ સામે બોરસદ, આણંદ અને આકલાવ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે જ્યારે રાજસિંઘ સામે સાણંદ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે.