મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
SHARE
મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
આગામી ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી માળિયા તાલુકાના મોટા દહીસરા ખાતે નવલખી રોડ પર આવેલ મેલડી માતાજીનાં મંદિર સામેના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સુચારુ અને ભવ્ય આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ પર્વની ઉજવણી સંદર્ભે ગ્રાઉન્ડ તૈયારી, સ્ટેજ અને મંડપ નિર્માણ, નાગરિકો તથા અતિથિઓ માટે બેઠક વ્યવસ્થા, દેશ ભક્તિ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની સુવિધા, રોશની અને સુશોભન, વૃક્ષારોપણ, સાફ-સફાઈ તેમજ મેડિકલ ટીમની તૈનાતી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં એસપી મુકેશ પટેલ, પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર સહિતના સંબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હર ઘર તિરંગા અને વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ ની ઉજવણી કરાશે
સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં તા. ૯થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન તેમજ ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ અન્વયે વિવિધ દેશભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉજવણીના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાનારી તિરંગા યાત્રાઓ, શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ, તથા જાગૃતિ અભિયાન અન્વયે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કામગીરી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી (શહેર) તાલુકા કક્ષાએ યોજાતો ઓગસ્ટ -૨૦૨૬ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૫/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ વેજીટેબલ રોડ ખાતે યોજાશે. જેમાં અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે તથા આક્ષેપો અને અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તથા અગાઉ ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં લેવાઈ ગયેલા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં, તેવું અધિકારી જણાવ્યુ છે.