મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ
SHARE
મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ
મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ મફતીયાપરમાં થોડા સમય પહેલા જ રહેવા માટે આવેલ મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી યુવાન ઉપર તેના સગા કાકા સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ફાયરિંગ કરીને તીક્ષ્ણ હથિયારના ઘા મરવામાં આવ્યા હતા જેથી ગંભીર રીતે ઇજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું અને હત્યાના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં ચારેય આરોપીની ધરપકડ કરી લીધેલ છે.
મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી અને હાલમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ રહેવા માટે થઈને આવેલ હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટી (35) નામના યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ઉપર ફાયરિંગ કરીને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા જેથી ગંભીર રીતે ઈજા પામેલ યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે હત્યાના બનાવમાં ફરિયાદ લેવા માટે થઈને તજવીજ હાથ ધરી હતી અને મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી
વધુમાં મૃતક હનીફ ભટ્ટીના ભાઈ રમજાનભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે તેઓ હાલમાં સુરેન્દ્રનગર ખાતે રહે છે અને તેનો ભાઈ થોડા સમય પહેલા જ મોરબી ખાતે રહેવા માટે આવ્યો હતો દરમિયાન રાત્રિના સમયે તેઓના કાકા ફારુકભાઈ અલારખાભાઈ ભટ્ટી, રિયાઝ ફારુકભાઈ ભટ્ટી, સમીર જાકીરભાઈ સૈયદ અને નઝિમ મુન્નાભાઈ દિવાન નામના ચાર વ્યક્તિઓ દ્વારા હનીફભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમજ તીક્ષ્ણ હથિયાર વડે શરીર ઉપર ઘા ઝીકવામાં આવ્યા હતા. જેથી હાનીફભાઈ ભટ્ટીનું મોત નિપજ્યું હતું
વધુમાં મૃતક યુવાનના ભાઈએ જણાવ્યું હતું કે હનીફભાઈને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો આમ ચાર સંતાનો છે અને તેઓના પત્ની હાલમાં સગર્ભા છે આ બનાવ બનવા પાછળનું કારણ રમજાનભાઈના કહેવા મુજબ તેઓના કાકા ફારુકભાઈ અલારખાભાઈ ભટ્ટી ઇંગ્લિશ દારૂનો ગેરકાયદે ધંધો કરતા હોય તેના ઉપર કેસ થયો હતો જેની બાતમી ફરિયાદીના ભાઈ મૃતક હનીફભાઈ ભટ્ટી પોલીસને આપી હોવાની શંકા રાખીને તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હનીફભાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાથી ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે બી ડિવિઝનન પીઆઈ જે.ડી. સરવૈયા અને તેની ટીમે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી
હાલમાં બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા હત્યાના આ બનાવમાં આરોપી ફારુકભાઈ અલ્લારખભાઇ ઉર્ફે બટુક કવાલ ભટ્ટી, સમીરભાઈ જાકીરભાઇ પીરજાદા, રિયાઝભાઈ ફારુકભાઈ ભટ્ટી અને નાઝીનભાઈ દિલાવરભાઈ દીવાન રહે બધા થાનગઢ વાળા ની ધરપકડ કરવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ફારુકભાઈ ભટ્ટી સામે થાન, જોરાવરનગર અને વાંકાનેર પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ત્રણ ગુના નોંધાયેલા છે. સમીર પીરજાદા સામે થાન અને જોરાવરનગરમાં જુદા જુદા બે ગુના, રિયાઝ ભટ્ટી અને નિજામ દિવાન સામે જોરાવરનગરમાં એક - એક ગુનો નોંધાયેલ છે અને પોલીસે ફારુકભાઇ ભટ્ટી તથા સમીર પીરજાદાની થાનગઢ ખાતેથી તેમજ રિયાઝભાઈ ભટ્ટી અને નિજામભાઈ દિલાવરની મોરબી નજીક આવેલ શક્તિ ચેમ્બર પાસેથી ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.