વાંકાનેરમાં લગ્ન કરવા ઘર છોડી નીકળેલી ૧૭ વર્ષની કિશોરીનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યું
SHARE
વાંકાનેરમાં લગ્ન કરવા ઘર છોડી નીકળેલી ૧૭ વર્ષની કિશોરીનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યું
મહિલાઓ અને બાળાઓ માટે ૨૪ કલાક કાર્યરત ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને થોડા દિવસો પહેલા જાગૃત નાગરિક દ્વારા કોલ કરીને માહિતી આપવામાં આવી હતી કે, વાંકાનેર સિવિલ હોસ્પિટલથી આગળ આશ્રમ નજીક છેલ્લા ૯ કલાકથી એક અજાણી કિશોરી અત્યંત ગભરાયેલી અને ચિંતાતુર હાલતમાં એકલી બેઠી છે અને પોતાનું સરનામું પણ આપી શકતી નથી.
જેથી કરીને ૧૮૧ અભયમ ટીમે તાત્કાલિક ઘટના સ્થાન ઉપર પહોંચી હતી અને સૌપ્રથમ કિશોરીને સાંત્વના આપી પૂરતો વિશ્વાસ કેળવ્યા બાદ ખૂબ જ ધીરજપૂર્વક કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. અને કાઉન્સેલિંગ દરમિયાન ૧૭ વર્ષની આ કિશોરીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તે એક યુવકના પ્રેમમાં છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. પરંતુ કાયદેસરની ઉંમર ન હોવાથી માતા-પિતાએ લગ્ન કરવાની ના પાડી હતી તેમજ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવા બદલ પિતાએ મોબાઈલ લઈ લઈને ઠપકો આપતા તે કોઈને કહ્યા વિના બપોરે ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ અભયમ ટીમે કિશોરીના પરિવારનો સંપર્ક સાધી તેમને કચેરીએ બોલાવ્યા હતા. અને ટીમે પરિવારને કાયદાકીય જોગવાઈઓની સમજ આપી દીકરી સાથે મારઝૂડ ન કરવા, અયોગ્ય વર્તન ન રાખવા તેમજ તેને ઉચ્ચ શિક્ષણ આપી કાયદેસરની ઉંમર થયા બાદ જ લગ્ન કરાવવા અંગે લાંબી સમજાવટ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને કાઉન્સેલિંગના અંતે કિશોરીએ પણ પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં ક્યારેય આવું પગલું ન ભરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.