મોરબી: ઘર ભૂલી ગયેલા શ્રમિક પરિવારના વયોવૃદ્ધ માજીનું અભયમ અને ૧૧૨ ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું
અફસોસ: મોરબીની મચ્છુ કેનાલની સફાઈ કર્યા વગર જ સિંચાઇ માટેનું પાણી છોડી દેવાયું !, ખેડૂતોને પાણી માટે વલખા
SHARE
અફસોસ: મોરબીની મચ્છુ કેનાલની સફાઈ કર્યા વગર જ સિંચાઇ માટેનું પાણી છોડી દેવાયું !, ખેડૂતોને પાણી માટે વલખા
મોરબીના મચ્છુ-2 ડેમમાંથી નીકળતી મચ્છુ કેનાલમાં દર વર્ષે ઉનાળામાં ખેડૂતો પાકનું આગોતરું વાવેતર કરી શકે તે માટે સિંચાઈનું પાણી છોડવામાં આવે છે તેવી જ રીતે આ વખતે પણ સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે જોકે, અફસોસની વાત એ છે કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી જેથી કરીને છેવાડાના ખેડૂતોને કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી કયારે મળશે તે સૌથી મોટો સવાલ છે.
દર વર્ષે મોરબી જિલ્લામાં ખેડૂતો દ્વારા ચોમાસાના આગમન પૂર્વે પોતાના ખેતરની અંદર આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વખતે પણ ચોમાસાના આગમન પહેલા ખેડૂતો દ્વારા કપાસના વાવેતર કરવા માટેની ખેતર ખેડવા સહિતની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અને ખેતરમાં વાવણી કરવી છે પરંતુ હાલમાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે તે કયારે ખેડૂતોના ખેતર સુધી પહોચશે તે કહી શકાય તેમ નથી. અને જો ચોમાસા પહેલા કેનાલમાંથી સિંચાઈનું પાણી ન મળે તો ખેડૂતોની સિઝન નિષ્ફળ જાય તેવી શક્યતા છે તેવું ખેડૂત પ્રાણજીવનભાઈ કણસાગરાએ કહ્યું હતું.
બગથળા ખેડૂત દીપકભાઈ ભિલાએ કહ્યું હતું કે, મચ્છુ-2 કેનાલની સફાઈ પાણી છોડતા પહેલા કરવામાં આવી ન હતી જેથી હાલમાં કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું છે તેમ છતાં પણ ઠેર ઠેર કચરાના ઢગલા અને આડશો હોવાના કારણે તથા કેનાલની અંદર ઘાસ અને બાવળિયા ઉગી નીકળ્યા છે જેને કાપવામાં આવ્યા ન હોવાથી પાણી રોકાઈ જાય છે અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે રીતે કેનાલમાં પાણી આગળ વધતું નથી હાલમાં મોરબીના નાનીવાવડી ગામ સુધી પાણી પહોંચ્યું છે જોકે ત્યારબાદ પાછળના ભાગમાં બગથળા, બીલીયા, બરવાળા થઈને માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સુધી આ પાણી ક્યારે પહોંચશે તે પ્રશ્ન ઊભો થયો છે
એક બાજુ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે બીજી બાજુ આગોતરું વાવેતર કરવા માટે તેને ખેડૂતો સિંચાઈ માટેના પાણીની રાહ જોવે છે જો કે, મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમમાં ભરાયેલ પાણીમાંથી દર વર્ષે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે તેવી જ રીતે હાલમાં પણ મચ્છુ કેનાલ ચાલુ કરીને તેમાં મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જોકે, મોરબી તાલુકાના 17 અને માળિયા તાલુકાના-2 આમ પુલ મળીને 19 ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવા માટે પાણી છોડવામાં આવ્યું છે તેવી માહિતી મચ્છુ સિંચાઇ યોજનાના મદદનીસ ઇજનેર આર.જે.પરમાર પાસેથી જાણવા મળેલ છે.
મોરબીમાં તંત્રની બેદરકારીના લીધે કેનાલની યોગ્ય રીતે સફાઈ થઈ ન હોવાના કારણે છેવાડાના ખેડૂત સુધી કેનાલ મારફતે સિંચાઇ માટેનું પાણી પહોંચશે કે કેમ તે હાલમાં કહેવું મુશ્કેલ છે જો કે, દર વર્ષે જે પ્રશ્નો પાણી પહોચડવા માટે તંત્રની સામે આવે છે તેનો પણ સમયસર કેમ નિકાલ કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે અને પોતાની ફરજમાં બેદરકારી રાખનારા અધિકારી તેમજ સમયસર કામ ન કરનારા કોન્ટ્રાકટર સામે જો આકરા પગલાં લેવામાં આવે તો જ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેમ છે.