મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ
મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ
SHARE
મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં ન્યુ પટેલ રીવેન્ડીંગ નામની દુકાને તસ્કરે નિશાન બનાવી હતી અને ત્યાં દુકાનમાં રાખવામાં આવેલ ૨૮૦ કિલો નવો કોપર વાયર, અન્ય સો કિલો નવો વાયર, ૬૦ કિલો કોપર વાયરનો ભંગાર, ૧૨ ઇલેક્ટ્રીક મોટર તેમજ ટ્રાન્સફોર્મર તથા સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિત કુલ મળીને ૧.૯૮ લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી.જેમાં એલસીબી સ્ટાફે અગાઉ બે ને પકડીને બી ડિવિઝન હવાલે કર્યા હતા.હાલમાં બી ડિવિઝન પોલીસે વધુ એકને પકડીને જેલ હવાલે કરેલ છે.હજુ એકને પકડવાનો બાકી છે.
મોરબીના કેનાલ રોડ રામકો બંગલો પાછળના ગજાનંદ પાર્ક તુલસીશ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૩૦૧ માં રહેતા મનીષભાઈ રામજીભાઈ મેરજા (૪૦) એ અજાણ્ય શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી.જેમાં જણાવેલ કે, મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પટેલ ચેમ્બર કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-૪ માં ન્યુ પટેલ રીવાઇડીંગ નામની તેઓની દુકાનને તસ્કરે નિશાન બનાવીને રૂા.૧,૯૮,૨૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે.જે બનાવમાં અગાઉ એલસીબીના સ્ટાફે બે ઈસમોની ધરપકડ કરી હતી.જેમાં સંજય ઉર્ફે સંજલો અને સંજય ઉર્ફે ભયલુ એમ બે ને પકડીને બી ડિવિઝન પોલીસ હવાલે કર્યા હતા.જોકે અન્ય બે ફરાર હતા.તે પૈકીના મનસુખ ઉર્ફે દીકુ હરિભાઈ પરમાર (૨૩) રહે. લોહાનગર રાજકોટની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.અને આ ઘરફોડ ચોરીના કેસમાં હજુ એક આરોપીને પકડવાનો બાકી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અનિલભાઈ ભરતભાઈ વસાણી નામના ૨૦ વર્ષના યુવાનને અકસ્માત બનાવમાં ઈજા થઈ હોય તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને અત્રે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.વધુમાં પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે કચ્છના ખીરઈ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય પ્રાથમિક સારવાર ભુજના લાકડીયા ખાતે લીધા બાદ અહીં મોરબી લાવવામાં આવ્યો હતો અને મોરબીથી વધુ સારવાર માટે તેને હાલ રાજકોટ લઈ જવાયો છે.
યુવાન સારવારમાં
હળવદના સુલતાનપુર ગામે વાડી વિસ્તારમાં સાપ કરડી જવાથી રજનીભાઈ પ્રકાશભાઈ નીનામા નામના ૩૫ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ માળીયા મિંયાણા તાલુકાના નવાગામ ખાતે રહેતા યુનુશભાઈ હાજીભાઈ કટીયા નામના ૩૦ વર્ષના યુવાનને ૧૦૮ વડે સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને તેના વાલી-વારસ સાથે ન હોય પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.