મોરબીના મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ભરાતી બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ થયેલ હોય ભોગ બનેલ સગીરાના પરિવારે પોલીસમાં જાણ કરતાં પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મૂળ માળિયા મિંયાણાના સરવડ ગામના અને હાલ મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી કામ સબબ મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામ પાસે ભરાતી બુધવારી બજારમાં ગઇ હતી. ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ તે સગીરાનું ગત તા.૧૧-૩-૨૬ ના બપોરના ચારેક વાગ્યાના અરસામાં અપહરણ કરી ગયેલ છે.ઘરમેળે સગીરાની શોધખોળ કરવા છતાં તેણીનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ અજાણ્યા ઈસમની સામે ગુનો દાખલ કર્યો છે.જેની આગળની તપાસ પીએસઆઇ વિ.એલ. વાઘેલા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબી-કચ્છ હાઇવે ઉપરના સુરજબારી પુલ ખાતે છોટા હાથી પલ્ટી મારી ગયું હતું.જે બનાવમાં શક્તિસિંહ જોરૂભા જાડેજા (૩૩) રહે.તલવાણા તા.માંડવી જી.કચ્છને ઇજા થતા અહીંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા બનાવને પગલે સ્ટાફના ભગવાનભાઈ ખટાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ ઉપર રહેતો જયદીપ મેરૂભાઈ ભરવાડ નામનો ૧૫ વર્ષનો યુવાન ઘર નજીક પડી ગયેલ હોય તેને ઈજા થઈ હતી.જેથી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
બાળક-યુવાન સારવારમાં
મોરબીના નવલખી ફાટક પાસે આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા પરિવારનો ફૈઝલ ઈસ્માઈલભાઈ પઠાણ નામનો બે વર્ષનો બાળક ઘરે રમતા રમતા ભૂલથી ટર્પેન્ટાઇન પી ગયો હતો.જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે. જ્યારે મોરબીની અણીયારી ચોકડી પાસે થયેલ વાહન અકસ્માતના બનવામાં ઇજા પામેલ મોહમ્મદભાઈ આદમભાઈ કારેલી (૨૭) રહે.ખીરઇ તા.માળીયા(મિં.) ને જેતપર સીએચસી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
દવા પી લેતા સારવારમાં
માળીયા મિંયાણા ખાતે રહેતો મોહસીનભાઈ હસનભાઈ મોવર નામનો ૨૨ વર્ષનો યુવાન માળીયા મિંયાણા ખાતે સિરાજભાઈની દુકાન નજીક કોઈ કારણોસર દવા પી ગયો હતો જેથી તેને અર્ધ બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના બી.આર. ખટાણાએ પ્રાથમિક તપાસ કરી હતી અને વધુ તપાસ માટે માળિયા પોલીસને જાણ કરી હતી.જ્યારે માળિયા મિંયાણાના ખાખરેચી ગામે રહેતા નરેન્દ્રભાઈ ચમનલાલ પરમાર નામના ૫૫ વર્ષના આધેડને તેઓના ઘરે ચક્કર આવી જતા પડી ગયા હતા અને માથામાં ઇજા પહોંચી હોય અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.