મૈ કલર એક જ રાખ્યો છે: મોરબીમાં ભાજપના સક્રિય કાર્યકર્તાઓ સંમેલનમા ધારાસભ્ય કાંતિભાઈની મહત્વપૂર્ણ ટકોર
SHARE








મૈ કલર એક જ રાખ્યો છે: મોરબીમાં ભાજપના સક્રિય કાર્યકર્તાઓ સંમેલનમા ધારાસભ્ય કાંતિભાઈની મહત્વપૂર્ણ ટકોર
મોરબી માળિયા વિધાનસભા બેઠકના સક્રિય કાર્યકર્તાઓનું ગઇકાલે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને સંમેલન યોજાયું હતું જેમાં રાજકોટના પૂર્વ મેયર બીનાબેન આચાર્ય પણ હાજર રહ્યા હતા અને ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પોતાના યુવાનીના દિવસો યાદ કરતા કહ્યું હતું કે "હું નસીબદાર છું કે હજુરીયા- ખજુરીયા હોય, દિયે કે ન દિયે, જેલમાં મોકલે તો પણ મૈ કલર એક જ રાખ્યો છે"
મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાન ઉમાટાઉનશીપ ખાતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટના પૂર્વ મેયર બીનાબેન આચાર્ય હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને રાઘવજીભાઇ ગડારા, મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, સિનિયર આગેવાન પ્રદીપભાઈ વાળા, લાખાભાઇ જારીયા, જયુભાઈ જાડેજા, ભાવનાબેન કૈલા, બાબુભાઈ પરમાર, નિર્મલભાઈ જારીયા, વિશાલભાઇ ઘોડાસરા, અશોકભાઇ દેસાઇ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સૌ કોઈએ પ્રસંગોચિત ભૂતકાળના સ્મરણોને તાજા કર્યા હતા. ત્યારે રાજકોટના પૂર્વ મેયર બીનાબેન આચાર્યએ મોરબીમાં આવેલા ભૂકંપ સમયે મણિ મંદિરને ફરીથી કાર્યરત કરવા માટે થઈને જે કામગીરી કરી હતી તે દિવસોને યાદ કર્યા હતા તે ઉપરાંત ભાજપ આજે જ્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે અને તેના સક્રિય કાર્યકર્તા તરીકે વિશેષ જવાબદારી જ્યારે સોંપવામાં આવી છે ત્યારે જન જન સુધી ભાજપ દ્વારા કરવામાં આવતી લોક કલ્યાણકારી કામગીરી પહોંચાડવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.
તો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે નાનપણમાં જ્યારે પોતે પોતાના ગામ જેતપરમાં શાખા લગાવતા હતા ત્યારે તેમના ભાઈજી અમરશીભાઈ કહેતા હતા કે "આ ચડ્ડી વાળા નખોદ કાઢી નાખશે" જોકે શરૂઆતના દિવસોમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો પરંતુ 1982 માં પ્રથમ વખત મોરબી તાલુકા યુવા ભાજપના તેઓ પ્રમુખ બન્યા હતા ત્યારથી લઈને આજ સુધી હજુરિયા ખજુરીયા હોય, દિયે કે ન દિયે, જેલમાં મોકલે તો પણ કલર (હાથમાં કેસરી ખેસ પકડીને) બદલ્યો નથી તેવી માર્મીક ટકોર તેમણે કરી હતી. વધુમાં આગામી સમયમાં મોરબી કોર્પોરેશન વિસ્તાર તથા જિલ્લામાં ખૂબ સારી રીતે લોકોની સુવિધામાં વધારો થાય તે રીતે અનેકવિધ વિકાસ કામો કરાશે અને સરકાર તરફથી મોરબી જિલ્લાને માંગે તે આપવામાં આવે છે ત્યારે લોકોની સુખાકારીમાં સારામાં સારું કામ થાય તેવી લાગણી તેઓએ ભાજપના સક્રિય કાર્યકર્તાઓ સમક્ષ વ્યક્ત કરી હતી

