મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા
કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ
SHARE
કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ
ભુજથી ચોટીલા-સાળંગપુર, ભુજથી જુનાગઢ-માંગરોળ, ભુજ-ભાવનગર માટે ત્રણ નવી બસ સેવા શરૂ
મુસાફરોની સુવિધા અને વિવિધ શહેરો વચ્ચેની પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બને તે હેતુથી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે સાંસદ વિનોદભાઇએ લીલી ઝંડી આપીને નવી બસ સેવાઓનું પ્રસ્થાન કરાવ્યું હતું.હવે કચ્છથી સૌરાષ્ટ્રની કનેક્ટિવિટીને વધુ વેગ મળશે.ભુજ એસ.ટી. બસ સ્ટેશન ખાતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી ભુજ-સાળંગપુર, માંગરોડ, ભાવનગર ત્રણ નવી બસ સેવાઓનું લોકાર્પણ કરી ફ્લેગ-ઑફ઼ આપી પ્રસ્થાન કરાવ્યું હતુ.
કાલથી ભુજ ડેપોથી ભુજ-ચોટીલા-સાળંગપુર બસ સેવા સવારે ૫:૩૦ કલાકે ભુજથી ઉપડતી આ બસ અંજાર, આદિપુર, ભચાઉ, મોરબી, વાંકાનેર, ચોટીલા થઈ સાળંગપુર પહોંચશે.જયારે ભુજ-જુનાગઢ-માંગરોળ બસ સેવા સવારે ૮:૪૫ કલાકે ભુજથી ઉપડતી આ બસ અંજાર, ગાંધીધામ, મોરબી, રાજકોટ, જુનાગઢ થઈ માંગરોળ સુધી જશે.અને ભુજ-ભાવનગર બસ સેવા સવારે ૮:૧૫ કલાકે ભુજથી ઉપડતી આ બસ અંજાર, ગાંધીધામ, ભચાઉ, મોરબી, રાજકોટ થઈ ભાવનગર પહોંચશે.
આ નવી બસ સેવાઓના કારણે કચ્છ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરો વચ્ચે મુસાફરી કરતા નાગરિકો, વેપારીઓ, વિધાર્થીઓ તથા અન્ય મુસાફરોને વધુ સુવિધા મળશે. ખાસ કરીને ભુજ અને કચ્છના નાગરિકોને ચોટીલા, સાળંગપુર, જુનાગઢ, માંગરોળ તથા ભાવનગર તરફની મુસાફરીમાં સીધી બસ સેવા ઉપલબ્ધ થતાં સમય અને શ્રમની બચત થશે.આ નવી બસ સેવાઓના પ્રારંભથી કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેની જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે.ખાસ કરીને ચોટીલા અને સાળંગપુર જેવા યાત્રાધામોની મુલાકાતે જતા શ્રદ્ધાળુઓ તેમજ જુનાગઢ, માંગરોળ અને ભાવનગર તરફ જતા મુસાફરો અને પ્રવાસીઓને વધુ સરળ અને સુવિધાજનક પરિવહન સેવા ઉપલબ્ધ થશે.
કચ્છના નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધુ સારી કનેક્ટિવિટી, સુવિધા અને સરળ પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે.આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ સારી અને સુલભ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવી તે પ્રાથમિકતા છે.નવી બસ સેવાઓથી કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેનું પરિવહન વધુ સુગમ બનશે.
નવી બસ સેવાઓ શરૂ થતાં મુસાફરોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.આ પ્રસંગે વિભાગીય પરિવહન અધિકારી વિપુલભાઈ ચૌધરી, તેમજ એસટીના કર્મચારી ડોડીયાભાઈ, સામળાભાઈ, વનરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ હાજર રહ્યા હતા.તેમજ શિતલભાઇ શાહ, કમલભાઈ ગઢવી, મિતભાઈ ઠક્કર, મયુરસિંહ જાડેજા, જયંતભાઈ ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.