મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું
SHARE
મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું
મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામ પાસેની હોટલ નજીક ગટર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજ્યું હતું.બનાવના પગલે મોરબી તાલુકા પોલીસની ટીમ રાજકોટ દોડી આવી હતી.બનાવ શંકાસ્પદ જણાતા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ અંગેના કારણની સ્પષ્ટતા થશે.
બનાવ અંગે મળતી વિગત મુજબ ભરતભાઈ બચુભાઈ વાંસદડીયા (ઉંમર વર્ષ 45, રહે.ગૌતમ સોસાયટી, રવાપર રોડ, મોરબી) ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાસપર ગામ નજીકની ઓનેસ્ટ હોટલે જમવા માટે ગયા હતા.પોતાની કાર સાઇડમાં પાર્ક કરી હોટલમાં જમવા ગયા બાદ પરત કાર બાજુ જતા સમયે અંધારામાં ધ્યાન ન રહેતા વરસાદી પાણી નિકાલની ખુલી ગટર પાસે તેઓ પડી ગયા હતા.ગટર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા ભરતભાઇ વાંસદડીયાને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.બનાવના પગલે મોરબી તાલુકા પોલીસ મથકના વિજયભાઇ મિયાત્રા સહીતની ટીમ દોડી આવી હતી અને મૃત્યુનો સ્પષ્ટ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરાયું હતું.પરિવારજનોએ જણાવ્યા મુજબ, ભરતભાઈ મૂળ લાલપર ગામના વતની હતા.તેઓ ત્રણ ભાઈ અને બે બહેનમાં વચેટ હતા.તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.તેઓ ભાડાની દુકાન રાખીને સિરામિક ટ્રેડિંગનો વ્યવસાય કરતા હતા.તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.મૃત્યુ આકસ્મિક છે ? કે અન્ય કોઈ કારણ ? તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.