મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: જોધપર નદી ગામે વોકડામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
SHARE
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: જોધપર નદી ગામે વોકડામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત થયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને મોરબી નજીકના જોધપર નદી ગામે ખાલી વોકડામાંથી અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોય પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ કરી છે.
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા સોસાયટીમાં રહેતા પાર્થભાઈ કાંતિલાલ પટેલ (31)એ કોઈ કારણોસર તા 10 ના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાન બેભાન થઈ જતાં તેને સારવાર માટે મોરબીમાં આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.પી.ગુઢડા ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર ઝેરી દવા પી લીધી હતી તે દિશામાં તપાસ ચાલુ છે.
મોરબીના જોધપર નદી ગામની સીમમાં છગનભાઈ બરાસરાની વાડી પાસે આવેલ ખાલી વોકડામાંથી અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની જયેશભાઈ હોથી (45) રહે. જોધપર નદીવાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ના બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે.