વળતર માટેના નવા પરિપત્રનો વિરોધ: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી મંગળવારે ખેડૂતોની પદયાત્રાનું આયોજન
SHARE
વળતર માટેના નવા પરિપત્રનો વિરોધ: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી મંગળવારે ખેડૂતોની પદયાત્રાનું આયોજન
મોરબીના જેતપર ગામેથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વીજ વાયર સામે પૂરતું વળતર મેળવવા માટે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તે હવે સત્યાગ્રહ પાર્ટ -3 તરફ આગળ વધી રહ્યું છે અને સત્યાગ્રહ પાર્ટ 3 અંતર્ગત આગામી મંગળવારે મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી લઈને કલેક્ટર કચેરી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો અને મહિલાઓને જોડાવા માટે આંદોલન સમિતિ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતમાં જુદી જુદી વીજ કંપનીઓ દ્વારા હાલમાં વીજ લાઈનો પાથરવા માટેની કામગીરી ચાલી રહી છે જેથી કરીને ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરવામાં આવી છે અને વીજ વાયરનો કોરિડોર પસાર થાય છે જેની સામે ખેડૂતોને પાસેરામાં પૂણી જેટલું વળતર આપવામાં આવતું હોય ખેડૂતોમાં ભારે નારાજગી છે જેથી કરીને 19 દિવસ સુધી મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે આંદોલન પાર્ટ-3 શરૂ કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે સત્યાગ્રહ પાર્ટ-3 માં સરકાર દ્વારા વીજ લાઈન અને વીજપોલના વળતર માટે જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે તે માન્ય નથી તેના માટે થઈને મોરબી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં વિશાળ પદયાત્રા યોજાશે આ પદયાત્રા આગામી તા. 14/7 અને મંગળવારના રોજ મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી લઈને કલેક્ટર કચેરી સુધી યોજાશે જેમાં માત્ર જેતપર કે મોરબી જિલ્લામાંથી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ખેડૂત ભાઈઓ તથા મહિલાઓને જોડાવા માટે થઈને આંદોલન સમિતિ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.