રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
SHARE
મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
મોરબી મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને બાવાને બાવન બેઠક ઉપર ભાજપના સભ્યો ચૂંટાઈ ગયા છે પરંતુ હવે મેયર પદ માટે બે બાહુબલી નેતાઓ દ્વારા ખેચતાણ કરવામાં આવી રહી છે અને મોરબીમાં જ્યારે જિલ્લા સંકલનની બેઠક મળી હતી તેમાં એક કે બે નહીં પરંતુ 10 આગેવાનોની હાજરીમાં જે પેનલ નક્કી કરવામાં આવી હતી તેમાં નામ ઉપર નીચે કરીને ગાંધીનગર ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ મૂકવામાં આવેલ હતા જેથી ત્યાં હોબાળો મચી ગયો હતો. જોકે, નેતાઓ વચ્ચે ચાલી રહેલી ખેચતાણમાં મોરબીની સારો મેયર મળશે કે મારો મેયર મળશે તે હવે બંને માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગયું છે
મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવમાં આવી ત્યાર બાદ પ્રથમ ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી અને તેમાં 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે જોકે મહાપાલિકાના મેયર પદ માટે જે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અનામત છે જેથી કરીને મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયરની પસંદગી કરવા માટે થોડા સમય પહેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવામાં આવી હતી ત્યારે મેયર પદ માટે પાંચ જેટલા આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવી હતી અને ત્યારબાદ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોની હાજરીમાં સંકલનની બેઠક મળી હતી અને તેમાં મોરબી મહાપાલિકાના મેયર પદ માટે જે નામો આવ્યા હતા તેમાંથી એક પેનલ બનાવવામાં આવી હતી અને તે પેનલ જ્યારે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવી તેમાં નક્કી થયેલા નામોના ક્રમને ઉપર નીચે કરવામાં આવેલ હતો. જેથી તે બાબતે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડમાં હોબાળો મચી ગયો હતો
હાલમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી ખાતે કમલમ કાર્યાલયમાં જ્યારે સંકલનની બેઠક મળી હતી ત્યારે મોરબી મહાપાલિકાના મેયર માટે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દાવેદારી કરવામાં આવી હતી તેમાંથી જે પેનલ બની હતી તેમાં પહેલું નામ ભાવેશભાઈ કંઝારીયા, બીજું નામ ભુપતભાઈ જારીયા અને ત્રીજુ નામ ગણેશભાઈ ડાભીનું નામ નક્કી કરવામાં આવ્યો હતો અને આ પેનલ ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવાના બદલે જ્યારે ત્યાં પેનલ મુકવામાં આવી તેમાં સૌથી પહેલું નામ ગણેશભાઈ ડાભી, બીજું નામ ભુપતભાઈ જારીયા અને ત્રીજું નામ ભાવેશભાઈ કંઝારીયાનું મૂકવામાં આવ્યું હતું જેથી પેનલમાં નક્કી થયેલા નામના ક્રમમાં મંત્રીને જાણ કર્યા વગર જ સીધો ફેરફાર કરવામાં આવેલ હતો. જેથી રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા વચ્ચે ભાજપના સિનિયર આગેવાનોની હાજરીમાં બોલાચાલી થઈ હતી તેવું ચર્ચાઇ રહ્યું છે.
હાલમાં મોરબીના મેયર પદ માટેની પસંદગીની પ્રક્રિયા ઉપર બ્રેક લગાવવામાં આવી છે. સૂત્રોના કહેવા મુજબ મોરબી જિલ્લામાં ભાજપના આગેવાનો વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે હાલમાં મેયર પદ માટેનો દડો ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ ખાતે રમતો મૂકી દેવામાં આવ્યો છે અને પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા હવે જેને નક્કી કરવામાં આવે તે મોરબીના મેયર બનશે તેવું દેખાઈ રહ્યું છે જોકે આ ખેંચતાણ વચ્ચે મોરબી શહેર માટે સારો મેયર આવશે કે મારો મેયર આવશે તે હવે મોરબીના બંને બાહુબલી નેતાઓ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગયેલ છે.