મોરબીમાં યુવાને મોત વહાલું કરવાના બનાવમાં ઝડપાયેલ માળીયા (મી) તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત ત્રણેય આરોપી જેલ હવાલે
SHARE
મોરબીમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ઝડપાયેલ માળીયા (મી) તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત ત્રણેય આરોપી જેલ હવાલે
મોરબીમાં રહેતા યુવાને બે શખ્સોને હાથ ઉંચીના રૂપિયા આપ્યા હતા તે રૂપિયા તેને પરત આપવામાં આવતા ન હતા જેથી યુવાને તેના સાળાને આ બાબતે વાત કરી હતી અને ત્યારબાદ યુવાન અને તેના સાળાએ રૂપિયાની પરત માંગણી કરી હતી જે સામેવાળાઓને સારું લાગ્યું ન હતું અને ત્યારબાદ પૈસા પરત આપવા ન પડે તે માટે થઈને સામેવાળાઓએ પોલીસ ફરિયાદ કરી હતી અને યુવાન તથા તેના સાળાને ડરાવી ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી તેમજ રૂબરૂ અને ફોન ઉપર પણ ધમકી આપતા હતા જેથી યુવાનના સાળાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું અને મૃતક યુવાનની સ્યૂસાઇટ નોટ આધારે પોલીસે મૃતકના બનેવીની ફરિયાદ લઈને ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે ત્રણેય આરોપીઓને પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરેલ છે.
મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપમાં શુભ-બી બ્લોક નંબર 201 ખાતે રહેતા હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા (49)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આશિષભાઈ રમેશભાઈ પાડલીયા, હિતેશભાઈ વાસુદેવભાઈ દસાડીયા તથા કમલેશભાઈ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓએ આશિષભાઈ અને કમલેશભાઈને હાથ ઉછીના 1.26 કરોડ રૂપિયા આપેલ હતા જે રૂપિયા ફરિયાદીને પરત આપતા ન હતા જેથી ફરિયાદીએ તેના સાળા વિપુલભાઈ વિડજાને આ બાબતે વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓએ ઉછીના આપેલ રૂપિયા આશિષભાઈ, હિતેશભાઈ અને કમલેશભાઈ પરત આપતા નથી જેથી ફરિયાદી અને તેના સાળાએ રૂપિયા પરત મેળવવા માટે થઈને તેની પાસે માંગણી કરી હતી જે આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ પૈસા પરત આપવા ન પડે તે માટે પોલીસમાં ફરિયાદ કરી હતી અને ફરિયાદી તેમજ તેના સાળાને ડરાવી ધમકાવીને ત્રણેય આરોપીઓએ સાથે મળીને ફરિયાદી તથા તેના સાળાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.
આટલું જ નહીં ફરિયાદીના સાળાને રૂબરૂમાં તેમજ ફોન ઉપર ધમકી આપીને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. જેથી ફરિયાદીના સાળા વિપુલભાઈ વીડજા ઝેરી દવા પી ગયા હતા અને તેનું મોત નિપજ્યું હતું જો કે, મૃતક પાસેથી મળી આવેલ સ્યૂસાઇટ નોટ આધારે પોલીસે મૃતક યુવાનના બનેવીની ફરિયાદ લઈને ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન. પરમાર અને તેની ટીમે આ ગુનામાં આરોપી તરીકે મિયાણાં તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વાસુદેવભાઈ દસાડીયા (35) રહે. મોરબી, આશિષભાઈ રમેશભાઈ પાડલીયા (25) રહે. લક્ષ્મીનગર અને કમલેશભાઈ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયા રહે. પંચાસર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.