મોરબીમાં દરગાહની જગ્યાએ તંત્રે કરી નાખ્યું મેદાન: પોલીસ બંદોબસ્ત વચ્ચે મુખ્ય બજારો રાબેતા મુજબ ધમધમવા લાગી
SHARE
મોરબીમાં દરગાહની જગ્યાએ તંત્રે કરી નાખ્યું મેદાન: પોલીસ બંદોબસ્ત વચ્ચે મુખ્ય બજારો રાબેતા મુજબ ધમધમવા લાગી
મોરબીમાં દરગાહનું દબાણ હટાવવા માટે ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક બે જગ્યાએ ટોળાએ કાંકરી ચાળો કર્યો હતો જેથી પોલીસે ટોળાને વિખેરી નાખ્યા હતા ત્યાર બાદ એસપી મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં પોલીસની જુદીજુદી ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને હજુ પણ મોરબીના ચોક્કસ વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત યથાવત રાખવામા આવેલ છે જો કે, મોરબીની મુખ્ય બજારો આજે સવારથી રાબેતા મુજબ ધમધમવા લાગી છે.
ગઇકાલે મોરબીમાં મણી મંદિરની બાજુમાં દરગાહનું દબાણ દૂર કરવા માટે ડિમોલેશનની કામગીરી બપોરે 2:30 વાગ્યાથી શરૂ કરી હતી અને મોડી રાત સુધી દરગાહને તોડીને તેનો કાટમાળ દૂર કરવા માટેની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી આ કામગીરી દરમ્યાન કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે મોરબીના એસપી મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પી.એ.ઝાલા, સમીર સારડા અને વિરલ દલવાડી દ્વારા પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ હતો અને 2 હિટાચી ઉપરાંત 10 જેટલા જેસીબીને કામે લગાડીને દરગાહને તોડી પાડવામાં આવી હતી અને દરગાહના કાટમાળને તાત્કાલિક દૂર કરવા માટે ડમ્પરોને દોડાવવામાં આવ્યા હતા.
ગઇકાલે સાંજના સમયે મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશને અને જેલ રોડ ઉપર મુસ્લિમ સમાજના લોકોના ટોળાએ તોડફોડ કરી હતી ત્યાર બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ટોળાને વિખેરવા માટેની કાર્યવાહી કરીને મોરબીમાં કોઈપણ વિસ્તારમાં લોકોના ટોળાં એકત્રિત ન થાય તેવો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. અને દરગાહના દબાણને દૂર કરવાની કાર્યવાહી ચાલુ જ રાખવામા આવી હતી. માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ આદ્રોજાએ ગઇકાલે જણાવ્યુ હતું કે, મણિમંદિર પાસે કુલ 350 ચોરસ મીટર જગ્યા ઉપર દરગાહનું દબાણ હતું તેને તોડી પાડવામાં આવ્યું છે અને સૂત્રોના કહેવા પ્રમાણે તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવતા 10 કરોડથી વધુની સરકારી જમીન દબાણ મુક્ત થયેલ છે.
આજે પણ મોરબીમાં એસપી મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામા આવેલ છે અને ખાસ કરીને મોરબીમાં ખાટકીવાસ, સિપાહીવાસ, મકરાણીવાસ, ઈદ મસ્જિદ રોડ, વીસીપરા સહિતના જુદાજુદા વિસ્તારમાં પોલીસ તૈનાત કરવામાં આવેલ છે અને પોલીસનું સતત પેટ્રોલીંગ પણ ચાલુ છે અને ગઇકાલે બપોરથી જે મણીમંદિર પાસેનો બેઠા પુલ વાળો રસ્તો ચ એટેને બંધ કરવામાં આવેલ છે તેને આજે સવારથી ચાલુ કરવામાં આવેલ છે. જો કે, શહેરમાં ટ્રાફિકજામ ન થાય તે માટે પોલીસ દ્વારા સવારથી જ તકેદારી રાખવામા આવી રહી છે. અને મોરબીના લોકોએ કોઈ પણ કોઈ અફવા કે દોરવણીમાં આવ્યા વગર કોઈ માહિતી હોય તો તેનું પોલીસ સાથે વેરિફિકેશન કરવા માટે પોલીસ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.