સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ
SHARE
સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને લઈને ખેડૂતો દ્વારા જે માંગણીઓ કરવામાં આવી હતી તે બાબતે સરકાર દ્વારા હવે લેખિત પરિપત્ર પણ કરી નાખવામાં આવ્યો છે અને તેની કોપી સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે ત્યારે આ કોપી આંદોલનકારીઓ સુધી પણ પહોંચી ગઈ છે પરંતુ તેનો અભ્યાસ કરવાનો બાકી હોય ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ આગામી સમયમાં આંદોલન સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે તેવું આંદોલન સમિતિના સભ્ય જણાવી રહ્યા છે.
મોરબીના જેતપર ગામે છેલ્લા 18 દિવસથી ખેડૂતો દ્વારા આમરણાત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેઓના ખેતરમાં જે ખાનગી વીજ કંપનીના વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેની સામે તેઓને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ખેડૂતો દ્વારા પોતાની છ માંગણીઓને અગાઉ લેખિતમાં સરકાર સુધી પહોંચાડી દેવામાં આવી હતી જોકે સરકારે તે છ માંગણીઓની સામે થોડા દિવસો પહેલા વળતરની નવી નીતિ બનાવીને તેની જાહેરાત કરી હતી પરંતુ લેખિતમાં કશું આપ્યું ન હોવાથી ખેડૂત મૌખિક વાત માનવા તૈયાર ન હતા તેવામાં ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલના વળતર બાબતે નવી નીતિ જે જાહેર કરવામાં આવી છે તેને લગતો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે અને આ પરિપત્ર સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થયેલો છે ત્યારે મોરબીના જેતપર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે આ પત્ર બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે તેઓની છાવણી ખાતે લોકડાયરો હતો અને મોડી રાત સુધી ડાયરો ચાલ્યો હતો જેથી કરીને તેઓએ પરિપત્રનો અભ્યાસ કર્યો નથી. તેઓને સોશિયલ મીડિયા મારફતે હાલમાં સરકારનો પરિપત્ર મળી ગયો છે પરંતુ અધિકારી દ્વારા આ પરિપત્ર તેઓ સુધી પહોંચાડવામાં આવ્યો નથી અને આ પરિપત્રનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરીને આંદોલન સમિતિ દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે. બીજી બાજુ આંદોલનના સમર્થન માટે ગામો ગામથી ખેડૂતો આવી રહ્યા છે અને તેઓ દ્વારા તન, મન, ધનથી આ ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટેની ખાતરી આપવામાં આવે છે અને છેલ્લા 18 દિવસથી અન્નદાતા અન્ન ખાધા વગર ભૂખ્યા પેટે બેઠા છે ત્યારે સરકાર અને ખાનગી કંપની દ્વારા વહેલી તકે આંદોલનનો નિવેડો લાવવામાં આવે તેવી સહુ કોઈ લાગણી વ્યક્ત કરી રહ્યા છે.