વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક
SHARE
વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક
મોરબી જિલ્લામાં વિકાસના નામે ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લામાંથી વધુ 9 નવી વિજલાઇનો પસાર થવા જઇ રહી છે. જેમાં ખાસ કરીને વાંકાનેર પંથકમાંથી પસાર થનારી ત્રણ હેવી વિજલાઇન મામલે ખેડૂતો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિજલાઇનોના કારણે ખેડૂતોની માઠી બેસે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અંદાજે 10 જેટલા ગામોમાંથી આ હેવી વિજલાઇન પસાર થવાની છે. તંત્ર દ્વારા આ પ્રોજેક્ટની કામગીરી ટૂંક સમયમાં જ શરુ કરી દેવામાં આવનાર છે. વિજલાઇનના ટાવરો અને વાયરો ખેતરોમાંથી પસાર થવાના કારણે ખેડૂતોની મહામૂલી જમીનને મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
આ ગંભીર મુદ્ાને લઇને ખેડૂત આગેવાનો અને વહીવટી તંત્ર વચ્ચે વાંકાનેર સેવા સદન કચેરી ખાતે કલેક્ટર સ્વપ્નીલ ખરેની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. જો કે આ બેઠકમાં કોઇ સંતોષકારક ઉકેલ આવી શક્યો નથી. તંત્ર દ્વારા જે વળતરની જાહેરાત કે વાત કરવામાં આવી છે તેનાથી ખેડૂતોમાં ભારોભાર નારાજગી છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનના બદલામાં મળનારુ વળતર ખૂબ જ ઓછું છે અને તેનાથી લાંબા ગાળે ખેતીને મોટુ નુકશાન જશે. બેઠક બાદ ખેડૂત આગેવાનોના વલણ પરથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તેઓ આ અન્યાય સામે ઝુકવા તૈયાર નથી.
જો આગામી દિવસોમાં વળતરની રકમ બાબતે યોગ્ય અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે. વિકાસના નામે ખેડૂતોના ભોગે લેવાતા નિર્ણયો સામે હવે ગ્રામીણ વિસ્તારોમાં રોષનો જવાળામુખી ફાટવાની તૈયારી છે









