મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
SHARE








મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સમાવિષ્ટ હાઇવે, જાહેર માર્ગો, એટીએમ સેન્ટર્સ, બેંકો, મંદિરો, પેટ્રોલ પંપ, સોના-ચાંદી-ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ, બિગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી.-પેટ્રોલ-ડીઝલના પેટ્રોલિયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરીટી મેનની ફરજ પર વ્યક્તિની નિયુક્તિ કરવા અંગે તેમજ સીસીટીવી કેમેરા લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લામાં સમાવિષ્ટ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી-ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બિગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી.-પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરીટી મેનની ફરજ પર નિયુક્તિ કરવા અંગે તેમજ મુખ્ય પ્રવેશદ્વારો પર તથા બહાર નીકળવાના દ્વાર પર રોડ પરથી પ્રવેશ કરનાર અને બહાર નીકળનારના રોડ સુધીના રેકોર્ડીંગ સ્પષ્ટ રીતે પ્રાપ્ત થઈ શકે તે રીતે રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગની જગ્યાઓ, જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લેવામાં આવે તેટલી સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે.
મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલી દરેક હોટલ, સિનેમાહોલ, મોટા મંદિરો, સાયબર કાફેમાં સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી જે-તે માલિકો/ વહીવટકર્તાઓની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા તમામ એકમોએ આગામી તા. ૫ સુધીમાં ઉભી કરવાની રહેશે અને સી.સી.ટી.વી. કેમેરાનું રેર્કોડીંગ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી રાખવા માટે પણ આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત જિલ્લામાં નવા શરૂ થતાં એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ કામધંધો શરૂ કરવાનો રહેશે. આ જાહેરનામું આગામી તા. ૩૧/૮ સુધી અમલમાં રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ મોરબી જિલ્લામાં આવેલી સરકારી સંસ્થાઓ, સરકારી કચેરીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર બનશે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં જયારે ગંભીર ઘટનાઓ બને ત્યારે તે સમયના સીસીટીવી ફૂટેજ જે-તે સંસ્થાના માલિકો કે વહીવટકર્તાઓએ પોલીસ તપાસના કામે પોલીસ વિભાગ સિવાય કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓને આપી શકાશે નહીં.

