ટંકારાના કલ્યાણપર ગામે ઉંચાઇએથી નિચે પડી જતા યુવાન રાજકોટ ખસેડાયો
મોરબી ઘુંટુ રોડ ઉપર મશીનના બેલ્ટમાં સાડી આવી જતા મહિલા સારવારમાં
SHARE








મોરબી ઘુંટુ રોડ ઉપર મશીનના બેલ્ટમાં સાડી આવી જતા મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર રહીને ત્યાં આવેલા સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા રજનીબેન ભેરૂભાઈ ચેરવટી નામના ૨૦ વર્ષના મહિલા મશીન ઉપર કામ કરતા હતા તે દરમિયાન મશીનના બેલ્ટમાં સાડી આવી જવાથી મશીન સાથે અથડાયા હતા અને ગંભીર ઇજાઓ થતા તેઓને શહેરના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જેથી બનાવ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એચ.ભટ્ટ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ ગામ નજીકના હરિઓમ પાર્ક વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ગોપાલભાઈ (૩૦) તથા વર્ષાબેન દિલીપભાઈ (૨૫) ને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે નીચી માંડલ ગામ પાસે ટ્રેક્ટર પલ્ટી મારી જવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં બંનેને ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
મોરબીના નગર દરવાજા ચોક પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં સમીરભાઇ રવજીભાઈ કાથરાણી રહે.પખાલી શેરીને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી એસ.એમ.કમોયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે હળવદના નવા દેવળિયા ગામે વિનોદભાઈની વાડીએ કોઈ કારણોસર દવાની અસર થતા સજુબેન કિરીટભાઈ નાયક નામની ૨૦ વર્ષીય મહિલાને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.તેમ મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રો દ્રારા જણાવાયેલ છે.
યુવાન સારવારમાં
હળવદના માથક ગામે રહેતા દિગ્પાલસિંહ જયપાલસિંહ ઝાલા નામનો ૨૨ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે માથક ગામ પાસે રસ્તા ઉપર તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામતા તેને અત્રેની ૐ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે લીંબડી નજીકના ભલગામડા ગામે રહેતા પ્રિન્સ જયપાલભાઈ ઝિંઝવાડીયા નામના ચાર વર્ષના બાળકને મોરબી નગર દરવાજા ચોક પાસે બાઈક સ્લીપ થવાની ઘટનામાં ઇજા થતા તેને પણ ૐ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.
રીક્ષા હડફેટે ઇજા
મોરબીની મેઇન પોસ્ટ ઓફિસ નજીક રહેતા નંદલાલભાઈ રવજીભાઈ કાથરાણી નામના ૬૦ વર્ષના વૃદ્ધ અહીંની લુહાર શેરી પાસેથી પગપાળા જતા હતા ત્યાં અજાણ્યા રીક્ષા ચાલકે તેઓને ઠોકર મારતા ઈજા પામ્યા હોય તેઓને સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જેથી બનાવની જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

