નળ ત્યાં જળની વાતો પોકળ !: મોરબીના સ્લમ વિસ્તારમાં પાણીનું એક બેડું 5 રૂપિયે વેચાતું લેવા મહિલાઓ મજબૂર
SHARE








નળ ત્યાં જળની વાતો પોકળ !: મોરબીના સ્લમ વિસ્તારમાં પાણીનું એક બેડું 5 રૂપિયે વેચાતું લેવા મહિલાઓ મજબૂર
સરકાર નળ ત્યાં જળની વાતો કરે છે પરંતુ આજની તારીખે મોરબી શહેરી વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી અને જે પાણી મળે છે તે પણ દૂષિત અને અનિયમિત પાણી મળતું હોવાથી લોકોને રાત ઉજાગરા કરવા પડે છે અને તો પણ તેઓનો પાણી ન મળે તેવી પરિસ્થિતી છે જેથી ઘણા શ્રમજીવી પરિવારોને ના છૂટકે વેચાતું પાણી લઈને તે પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરવો છે.
મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલ માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણીના ધાંધિયા ચાલી રહ્યા છે અને લોકોને નિયમિત રીતે પાણી મળતું નથી તેમજ જે પાણી આપવામાં આવે છે તે પનો દુષિત હોવાના કારણે પીવા માટેના પાણીની વાત તો દૂર પરંતુ ઘર વપરાશમાં પણ આ પાણીનો ઉપયોગ કરી શકાય નહીં તેવું દૂષિત પાણી તેઓને પાઇપલાઇન મારફતે અડધી રાતે સપ્લાય કરવામાં આવે છે જેથી આ વિસ્તારના લોકો પાણી માટે હેરાન થઈ રહ્યા છે અને આ બાબતે અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં પણ તેઓનો પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી તેવું ઉમિયાનગરમાં રહેતા રિટાબેન પરમાર અને ચામુંડાનગરમાં રહેતા ભાવનાબેન રાહુલભાઈએ જણાવ્યુ છે
હાલમાં જે વિસ્તારમાં હાલમાં પાણીના ધાંધિયા છે તે વિસ્તારના લોકો મોટાભાગે આસપાસના ઔદ્યોગિક વિસ્તારોની અંદર રોજગારી મેળવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એટલે કે શ્રમજીવી લોકો આ વિસ્તારમાં રહે છે અને તે લોકોને વેચાતું પાણી પોતાના ઘર માટે લેવું પર પડે તેમ નથી અને ઘરમાં પાણી જે આવતું હોય છે તે રાત ઉજાગરા કરવા છતાં પણ પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવું આવતું નથી જેથી લોકોને વેચાતું ફિલ્ટર પાણી લઈને તેનો પીવા તરીકે ઉપયોગ કરવો પડે છે. જોકે ગેરકાયદે પાણીના કનેક્શન કારખાનામાં લેવામાં આવે છે જેથી લોકોને પાણી મળતું નથી તેવો ગંભરી આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખે પુષ્પરાજસિંહ જાડેજાએ કર્યો છે.
આજની તારીખે મોરબીના ઘણા બધા વિસ્તારોમાં લોકો પોતાના ઘરે અને કારખાને વેચાતી પાણીની બોટલો મંગાવતા હોય છે જોકે તે બોટલો સામાન્ય રીતે 10 થી 15 રૂપિયાના ભાવથી વેચાતી હોય છે પરંતુ માળીયા-વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર સહિતના વિસ્તારોમાં રહેતા લોકો શ્રમજીવી પરિવારના હોવાથી ત્યાં મિનરલ વોટરનો પ્લાન્ટ ધરાવતા રફીકભાઇ મહમદભાઈ દ્વારા આ લોકોને માત્ર પાંચ રૂપિયામાં એક બેડા જેટલું પાણી આપવામાં આવે છે અને તે પોતાના બોરમાંથી પાણી લઈને તેને મિનરલ કરીને વેચતા હોય છે જો કે, આ કામ તેઓ કમાણી કરવા માટે નહીં પરંતુ લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે કરી રહ્યા છે.
મોરબીમાં મહાપાલિકાના વોર્ડ નં-4 માં આવતા વિસ્તારની અંદર પાણી પુરવઠાની ગાળાની પાઇપલાઇન મારફતે પાણી સપ્લાય કરવામાં આવે છે તેવું સંપ ઉપર ફરજ બજાવતા ઓપરેટર હિમાંશુભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું અને તેના કહેવા મુજબ દરરોજ ગાળાની લાઇનમાં 17 એમએલડી કરતાં વધુ પણી છોડવામાં આવે છે. એટ્લે કે જેટલી ડિમાન્ડ છે એટલું પાણીમાં છોડવામાં આવે છે તેમ છતાં પણ છેવાડે રહેતા લોકોને પીવા માટેનું પાણી પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે નથી મળતું તે નરી વાસ્તવિકતા છે અને તેના કહેવા મુજબ કારખાનાઓમાં ગેરકાયદે કનેક્શન નથી જો કે, ખરેખર લાઇન ચેક કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે.
એક બાજુ મહાપાલિકામાં લોકો વેરો ભરતા હોય છે અને બીજી બાજુ ઘર સુધી પીવાનું પાણી ન આવે તો તેઓને પાણી માટે રજળપાટ કરવો પડે છે અથવા તો નાણાં ખર્ચીને પીવા માટેનું પાણી લેવું પડે આવી પરિસ્થિતિ મોરબી શહેરી વિસ્તારમાં છે ત્યારે મોરબીના લોકોને પીવાનું શુદ્ધ પાણી નિયમિત રીતે મળતું રહે તેવી વ્યવસ્થા મહાપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.

