રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી
ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી !
SHARE
ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી !
મોરબી મહાપાલિકાની 52-52 બેઠક ઉપર ભાજપના સભ્યો ચૂંટાયેલા છે જોકે અગાઉ મહાપાલિકાના પાંચ મુખ્ય હોદ્દા તથા સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન સહિત કુલ 12 સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા તે સિવાયની કમિટીઓની રચના કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં જેના સભ્ય તરીકે નામ હતા તેમના નામ ત્યાંથી હટાવીને તેઓને ચેરમેન પદની લ્હાણી કરવામાં આવી છે તો શું બાકીના ચૂંટાયેલા સભ્યો હતા તેમાંથી કોઈને ચેરમેન બનાવી શકાય તેમ ન હતા કે પછી તેને જાણી જોઈને ચેરમેન પદ ન આપવા પડે તે માટે કૂકરીઓને ગાંડી કરવામાં આવી છે તે બાબત હાલમાં ભાજપના ચૂંટાયેલ સભ્યોમાં ચર્ચાનો વિષય બનેલ છે.
મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં વિરોધ પક્ષને સ્થાન મળ્યું નથી અને તમામ બેઠક ઉપર ભાજપના કમળ ખીલી ઉઠ્યા હતા પરંતુ હવે ભાજપની અંદર જ મોટો વિખવાદ ચાલતો હોય તેવો ઘાટ ચૂંટણી પૂરી થઈ ત્યારથી દેખાઈ રહ્યો છે પહેલા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ઘણી બધી ખેંચતાણ ચાલી હતી અને પ્રદેશ ભાજપ સુધી મોરબીમાં હોદાની ખેંચતાણ પહોચી હતી ત્યાર બાદ લોટરી કહી શકાય તે પ્રકારે મહાપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેને લઈને પ્રથમથી જ ભાજપના ચૂંટાયેલા સભ્યોની અંદર ગણગણાટ ચાલી રહ્યો છે તેવામાં મોરબી મહાનગરપાલિકાની 15 કમિટીના ચેરમેનોની વરણી કરવા માટે થઈને સામાન્ય સભાની બેઠક મળી હતી અને આ બેઠકમાં ચૂંટાયેલા સભ્યોના રોષને ખાળવા માટેનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં પણ ભાજપના પાસા ઉંધા પડ્યા હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે
હાલમાં મોરબી મહાપાલિકાના કોર્પોરેટરોમાં થઈ રહેલ ચર્ચા મુજબ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક ના નામ જાહેર કરવામાં આવ્યા હતા તે ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન સહિત કુલ 12 સભ્યોના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે જેમના નામ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે અગાઉ જાહેર કરવામાં આવ્યા હતા તેમાંથી પાંચ નામ હટાવીને તેના બદલે જે લોકોને અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં ન હતા રાખ્યા તેમના નામનો ઉમેરો કરવામાં આવ્યો છે અને જેના નામ સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવ્યા તે પાંચે પાંચ સભ્યોને જુદી-જુદી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે જેમાં રવિભાઈ સનાડવા, પુષ્પાબેન વાળા, મનુભાઈ સારેસા, ભગીરથભાઈ બરાસરા અને નવીનભાઈ કુંડારીયાનો સમાવેશ થાય છે
જોકે ચૂંટાયેલા સભ્યોમાં હાલમાં એવો ગણગણા ચાલી રહ્યો છે કે શું જે સભ્યોના નામ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોમાં અગાઉ ન હતા અને હવે ઉમેરવામાં આવ્યા છે તેમાંથી કોઈને ચેરમેન બનાવી શકાય તેમ ન હતા ? કે પછી જાણી જોઈને તેઓને તેના કદ પ્રમાણે કાપવા માટે થઈને તેઓના નામ ચેરમેન તરીકે મૂકવામાં આવ્યા નથી ? અને સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય તરીકે તે લોકોના નામ મૂકીને તેઓના રોષને ખાળવા માટેનો પ્રયાસ કરવામાં આવેલ છે જે હોય તે પરંતુ શુક્રવારે મળેલ સામાન્ય સભાની બેઠકમાં છે સભા ખંડમાં જે નાટકો થયા તેના પરિણામો આગામી દિવસમાં જોવા મળે તેવા સંકેતો હાલમાં મળી રહ્યા છે.