મોરબીમાં આવાસ યોજનાના હોલમાં રાખવામા આવેલ ટ્યુબ લાઇટનો જથ્થો-ભંગાર ગુમ !: કોંગ્રેસ પ્રમુખે કરી કમિશનરને રજૂઆત
SHARE
મોરબીમાં આવાસ યોજનાના હોલમાં રાખવામા આવેલ ટ્યુબ લાઇટનો જથ્થો-ભંગાર ગુમ !: કોંગ્રેસ પ્રમુખે કરી કમિશનરને રજૂઆત
મોરબીના લીલાપર રોડ પર આવેલ આવાસ યોજનાના ક્વાર્ટર પાસે બનાવવામાં આવેલ હોલની અંદર વર્ષ 2022 થી એલ્યુમિનિયમની ટ્યુબલાઈટના બોક્સ અને ભંગાર પડ્યો હતો જે હાલમાં સ્થળ ઉપર નથી જેથી આ ભંગારની ચોરી કરવામાં આવી છે કે તેને અન્ય કોઈ જગ્યાએ મૂકવામાં આવ્યો છે તે બાબતે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા મહાપાલીકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જો આ ટ્યુબ લાઇટના ભંગાર અને જથ્થાની ચોરી કરવામાં આવી હોય તો તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે
મોરબી મહાપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ભંગાર કૌભાંડની ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ આવાસ યોજનાના કવાર્ટરની બાજુમાં બનાવવામાં આવેલ હોલમાં વર્ષ 2022 થી એલ્યુમિનિયમ બોક્સ વાળી ટ્યુબલાઈટનો જથ્થો તથા તેનો ભંગાર પડ્યો હતો અને તેના ફોટોગ્રાફ્સ પણ સ્થાનિક લોકો પાસેથી મળ્યા છે જોકે હાલમાં ટ્યુબલાઈટ કે તેના ભંગારનો જથ્થો સ્થળ ઉપર નથી જેથી આ કીમતી ધાતુની ચોરી થઈ છે તેવું હાલમાં પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે જોકે ખરેખર તેની ચોરી કરવામાં આવી છે કે મહાપાલિકા દ્વારા તેને અન્ય કોઈ જગ્યાએ મૂકવામાં આવ્યો છે તે બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે અને જો આ ટ્યુબ લાઇટના જથ્થા અને ભંગારની ચોરી કરવામાં આવી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.